દુષ્કર્મના કેસમાં જોધપુરની જેલમાં બંધ આસારામને થોડી રાહત મળી છે. એક કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે તેને જામીન આપ્યા છે. જો કે, દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા થઈ હોવાને કારણે તેને જેલમાંથી છોડવામાં આવશે નહીં.
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ વતી ખોટા દસ્તાવેજો રજૂ કરવાના કેસમાં આરોપીને આ જામીન આપવામાં આવ્યા છે. જોકે, આસારામને અન્ય કેસમાં સજા મળી હોવાને કારણે હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં. હાઈકોર્ટના જસ્ટિસ કુલદીપ માથુરની કોર્ટમાંથી આ જામીન મળ્યા છે. એડવોકેટ નીલકમલ બોહરા અને ગોકુલેશ બોહરાએ કોર્ટમાં આસારામનો પક્ષ રજૂ કર્યો હતો.
આસારામને દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. ગાંધીનગર (ગુજરાત)ની એક કોર્ટે આ વર્ષે દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. આસારામ વિરુદ્ધ વર્ષ 2013માં દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, પીડિતા પર દુષ્કર્મની ઘટના 2001થી 2006 વચ્ચે બની હતી. પીડિતાની બહેને પણ આસારામના પુત્ર નારાયણ સાંઈ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં નારાયણ સાંઈને એપ્રિલ 2019માં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.




