ભારતે યુદ્ધગ્રસ્ત સુદાનમાંથી લગભગ 3800 નાગરિકોને સફળતાપૂર્વક બહાર કાઢ્યા છે. ખાર્તુમમાંથી ફસાયેલા નાગરિકોને બચાવવા માટે ઓપરેશન કાવેરી ઝડપી કરી દીધું છે. ભારતીય વાયુસેનાની C-130J ફ્લાઈટ 47 ફસાયેલા ભારતીયોને લઈને જેદ્દાહથી દિલ્હી જવા રવાના થઈ હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે સુદાનથી 47 લોકોને લઈને IAF C-130J એરક્રાફ્ટ દિલ્લી જવા રવાના થયું. ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાંથી અત્યાર સુધીમાં લગભગ 3800 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ પહેલા ગુરુવારે સુદાનમાં ફસાયેલા 192 ભારતીયો અમદાવાદ પહોંચ્યા હતા. તેમને ભારતીય વાયુસેનાના C17 વિમાન દ્વારા પોર્ટ સુદાનથી અમદાવાદ ગુજરાત લાવવામાં આવ્યા હતા.
સુદાનમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, ઓપરેશન કાવેરી હેઠળ સંઘર્ષગ્રસ્ત સુદાનમાંથી અત્યાર સુધીમાં કુલ 3,584 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. ગુરુવારે આ અભિયાનના નવ દિવસ પૂર્ણ થયા હતા. ઓપરેશન કાવેરીમાં ભારતીય નૌકાદળના પાંચ જહાજો અને વાયુસેનાના 16 વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.




