છેલ્લા થોડા દિવસો દરમિયાન દેશમાં અને વિદેશમાં અકસ્માત અને કુદરતી આપદાની અનેક દુઃખદ ઘટનાઓ બનવા પામી છે. સુરત અને બારડોલી વચ્ચે એક કારને ભયંકર અકસ્માત નડતા એક જ પરિવારના છ લોકોના મૃત્યુ થયા હતા. પૂ. બાપુએ આ ઘટના તરફ શોક વ્યક્ત કરી પ્રત્યેક મૃતક ને રૂપિયા 11 હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૬ હજારની સહાય અર્પણ કરી છે. દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક એક છકડો રીક્ષા પુલ પરથી નીચે પડી જતા ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. આ મૃતકોને પણ પૂજ્ય બાપુ દ્દ્વારા 33 હજાર રૂપિયાની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે.
થોડા દિવસો પહેલા સર્બિયાની શાળામાં એક વિદ્યાર્થી દ્વારા આડેધડ અને અંધાધુંધ ગોળીબાર કરવાથી શિક્ષકો સહિત નવ લોકોના મૃત્યુ થયા હતાં. રામકથાના વિદેશ સ્થિત શ્રોતાઓ દ્વારા આ ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેની વિગતો મળે થી તેમને પણ પૂજ્ય બાપુ દ્વારા સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવશે.
આ ઉપરાંત આફ્રિકાના રવાન્ડામાં ભયાનક પુર આવવાથી ૧૩૦ જેટલા લોકોનાં મોત નિપજયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો પહેલા પૂજ્ય બાપુએ રવાન્ડા ખાતે રામકથા કરી હતી. રવાંડાની કુદરતી આપદાની ઘટનાની વિગતો પણ મેળવવામાં આવી છે અને નાઈરોબી – કેન્યા સ્થિત રામકથાના શ્રોતા દ્વારા રવાંડાના પુરગ્રસ્ત લોકોને પણ સ્થાનિક ચલણમાં સહાય અર્પણ કરવામાં આવી છે



