મધ્ય પ્રદેશના ખરગોનથી ઈન્દોર જઈ રહેલી એક મુસાફર બસ પુલથી નીચે ખાબકી. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ આ ગોઝારા અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે જ્યારે 25 જેટલા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ઉન પોલીસ મથક હદના ગ્રામ દસંગા પુલ પર થયો. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ અકસ્માત સવારે લગભગ 9.30 વાગે થયો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે બેકાબૂ બનેલી બસ પુલ પરથી નીચે જઈ ખાબકી. બસ પુલ પરથી નીચે પડ્યા બાદ મોટો અવાજ સાંભળીને આજુબાજુના સ્થાનિકો ઘટનાસ્થળે દોડ્યા. સ્થાનિકોએ બસમાં ફસાયેલા મુસાફરોને કાઢવાનું શરૂ કર્યું અને અકસ્માત અંગે પોલીસને જાણ કરી. સૂચના મળતા જ એસપી, કલેક્ટર અને ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મધ્ય પ્રદેશ સરકારે ખરગોન બસ દુર્ઘટનામાં મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ લોકોને 50-50 હજાર રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્તોને 25-25 હજાર રૂપિયા તત્કાળ સહાય આપવાની જાહેરાત કરી છે.






