અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું 29મુ રાષ્ટ્રીય અધિવેશન 12 અને 13મી મે દરમિયાન ગાંધીનગરના વલાદ ખાતે યોજાશે. ઇતિહાસમાં પ્રથમ વાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાઈ રહ્યું છે. બે દિવસના આ અધિવેશનનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે. ગુજરાત અને દેશભરમાંથી આવેલા શિક્ષકોને પ્રધાનમંત્રી સંબોધશે.
અધિવેશનમાં શિક્ષક, શિક્ષણ, શિક્ષણ નીતિ વગેરે બાબતો અંગે ચર્ચા થશે. આ અધિવેશનમાં ગુજરાત અને દેશમાંથી 80 હજાર શિક્ષકો આવવાનો અંદાજ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. વર્ષ 1954માં પ્રથમ વખત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની અધિવેશન યોજાયું હતું. ત્યારબાદ કુલ 28 રાષ્ટ્રીય અધિવેશન યોજાયા અને હવે શુક્રવારથી 29માં બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.
શરૂઆતમાં દર વર્ષે અને ત્યારબાદ દર બે વર્ષે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશન યોજાતા રહ્યા. ક્યારેક કેટલાક વર્ષોના અંતરે પણ અધિવેશન યોજાયા છે. દેશના વિવિધ રાજ્યોમાં આ અધિવેશન યોજાતા રહ્યા છે. જેમાં ઇતિહાસમાં પ્રથમ વખત આ વખતે ગુજરાત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનનું યજમાન બન્યું છે.





