લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર મોહસીન ખાને મુંબઈ ઈન્ડિયન્સના ટિમ ડેવિડ અને કેમેરોન ગ્રીન સામે છેલ્લી ઓવરમાં 11 રનનો બચાવ કરીને પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી. આ જીત સાથે લખનૌ પ્લેઓફની નજીક પહોંચી ગયું છે. છેલ્લી ઓવરમાં 11 રન બચાવનાર મોહિસન ખાનના વખાણ થઈ રહ્યા છે. લસિથ મલિંગાથી લઈને વીરેન્દ્ર સેહવાગ સુધી અનેક દિગ્ગજોએ મોહસીન ખાનના વખાણ કર્યા છે.
શ્રીલંકાના ભૂતપૂર્વ બોલર લસિથ મલિંગાએ છેલ્લી ઓવરમાં મોહસીન ખાનના શાનદાર પ્રદર્શન પર ટ્વીટ કર્યું અને લખ્યું, “હું છેલ્લી ઓવરમાં મોહસીન ખાને બતાવેલ સંયમ અને ધીરજથી પ્રભાવિત છું. અનુભવી બોલર માટે પણ સરળ કામ નથી. છેલ્લી સિઝનમાં પણ તેની તરફથી શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. દેખીતી રીતે આ ભવિષ્ય માટે છે.
લખનૌના કેપ્ટન કૃણાલ પંડ્યાએ પણ મોહિસનના જોરદાર વખાણ કર્યા હતા. તેણે મેચ બાદ કહ્યું, “મોહસીનનું દિલ મોટું છે. ગયા વર્ષે તેની ગંભીર સર્જરી થઈ હતી અને તે IPL પહેલા સ્પર્ધાત્મક ક્રિકેટ રમી શક્યો નહોતો. આ સિવાય ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓ યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણે પણ મોહિસન ખાનની છેલ્લી ઓવરના વખાણ કર્યા હતા. સાથે જ વીરેન્દ્ર સેહવાગ પણ મોહિસનથી પ્રભાવિત થયો હતો.
લાંબા સમય બાદ વાપસી કરી છે, છેલ્લી સિઝન સારી રહી હતી
મોહિસાન ખાન ઈજાના કારણે લગભગ 10 મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. તેને ડાબા ખભામાં ઈજા થઈ હતી. આ સિઝનમાં તે ટીમ માટે અત્યાર સુધી માત્ર ત્રણ મેચ રમ્યો છે. જ્યારે છેલ્લી સિઝન એટલે કે IPL 2022 તેના માટે ખૂબ જ સારી રહી હતી.
IPL 2022માં, મોહિસન ખાને લખનૌ માટે કુલ 9 મેચ રમી હતી, જેમાં તેણે બોલિંગ કરતી વખતે 14.07ની એવરેજથી 14 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે માત્ર 5.97ની ઈકોનોમી સાથે રન આપ્યા હતાં.




