ભાવનગર તા.૧૮
ભાવનગરના નારી ગામ નજીક આવેલ મોમાઈ માતાજીના મંદિર પાસે ગત મોડી રાત્રીના ઇકો કારમાં કોઈ કારણોસર આગ લાગતા કારનો ચાલક પણ આગની લપેટમાં આવી જતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં 108 ફાયર બ્રિગેડ તેમજ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર-અમદાવાદ શોર્ટ રોડ પર આવેલ નારી ગામ નજીકના મોમાઈ માતાજીના મંદિર પાસે ગત મોડી રાત્રિના સમયે અમદાવાદ તરફથી આવી રહેલ ઈકો કાર નં. જી.જે.૧૪- એ.પી. ૭૧૦૬ નો કોઈ અજાણ્યા વાહન સાથે અકસ્માત થયા બાદ ઇકો કાર ભડભડ સળગી ઉઠી હતી. આગની આ ઘટનામાં ઇકો કારના ચાલક હનીફભાઈ દદુભાઈ કુરેશી (ઉ.વ.૫૨ ) પણ આગની લપેટમાં આવી જતા કારમાં જ ભડથું થઈ ગયો હતો.

આ બનાવની જાણ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ કાફલો પણ બનાવ સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. આ ઘટનાની જાણ થતા વરતેજ પોલીસ કાફલો પણ બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
ઇકો કાર અમરેલી જિલ્લાના રાજુલાની હોવાનું અને અમદાવાદ ભાડું ઉતારીને કારનો ચાલક ગત રાત્રિના રાજુલા પરત ફરી રહ્યો હતો ત્યારે નારી ગામ નજીક અકસ્માત બાદ આગ ભભૂકી ઉઠતા ચાલક પણ આગની લપેટમાં આવી જતા ભડથું થઈ ગયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળેલ છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



