કર્ણાટકમાં ખૂબ મંથન કર્યા પછી કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયાને રાજ્યના આગામી મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય લીધો હતો. જોકે એવા સમાચાર હતા કે, CM પદ માટે સિદ્ધારમૈયા અને તેમના ડેપ્યુટી CM ડીકે શિવકુમાર વચ્ચે અઢી વર્ષની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. પરંતુ હવે રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા કોંગ્રેસના નેતા એમબી પાટીલે દાવો કર્યો છે કે, બંને વચ્ચે સત્તાની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ નથી.
કર્ણાટક કોંગ્રેસના નેતા એમબી પાટીલે કહ્યું કે, જો તેમની વચ્ચે સત્તા વહેંચણીની ફોર્મ્યુલા હોત તો હાઈકમાન્ડે જાહેરાત કરી હોત. સિદ્ધારમૈયા પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે. હકીકતમાં ભૂતકાળમાં કર્ણાટકના આગામી મુખ્યમંત્રીના નામ પર નિર્ણય લેવા માટે ચર્ચાઓ અને બેઠકો ચાલી રહી હતી. એવા અહેવાલ હતા કે, રાજ્ય કોંગ્રેસના વડા ડીકે શિવકુમાર વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા સાથે સત્તાની વહેંચણી માટે સંમત થયા હતા.
કોંગ્રેસના કેટલાક સૂત્રોએ દાવો કર્યો હતો કે, મુખ્યમંત્રી પદ સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે વહેંચવામાં આવશે. સૂત્રોએ એવો પણ દાવો કર્યો હતો કે, ડીકે શિવકુમારે અગાઉ તેમને કાર્યકાળ આપવાની માગણી કરી હતી. જોકે બાદમાં જ્યારે શિવકુમારને તેના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે “હવે ધ્યાન માત્ર શાસન, લોકો અને દેશ પર છે”.




