દેશભરમાં બોરવેલમાં બાળકો પડી જવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં મધ્યપ્રદેશના સિહોરમાં ત્રણ વર્ષની માસૂમ સૃષ્ટિ 300 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી. આ બોરવેલ ખેતરમાં ખુલ્લો પડેલો હતો. જ્યારે 50 કલાકના બચાવ બાદ સૃષ્ટિને બહાર કાઢવામાં આવી ત્યારે તેનું મોત નીપજ્યું હતું. આ પહેલાં 2 જૂને ગુજરાતના જામનગરમાં બે વર્ષની બાળકી બોરવેલમાં પડી હતી. બાળકી 20 ફૂટ ઊંડે ફસાઈ ગઈ હતી, તેને બચાવવા માટે સેના સહિતની વિવિધ એજન્સીઓએ 19 કલાક સુધી રેસ્ક્યુ કર્યું, પરંતુ સફળતા મળી ન હતી. આવી જ રીતે ગયા વર્ષે ડિસેમ્બરમાં મધ્યપ્રદેશના બેતુલમાં બોરવેલમાં પડી જવાથી 8 વર્ષીય તન્મયનું મૃત્યુ થયું હતું. 84 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ તન્મયને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ તે જીવતો નહીં પરંતુ મૃત હતો.
દર વર્ષે, સમગ્ર દેશમાંથી બાળકોના બોરવેલમાં પડી જવાના ઘણા કિસ્સાઓ નોંધાય છે, જેમાંથી મોટાભાગના બોરવેલની અંદર જ ગૂંગળામણને કારણે મૃત્યુ પામે છે. વાલ એ છે કે, દેશમાં વારંવાર આવા બનાવો બનતા હોવા છતાં ક્યાં સુધી બોરવેલ કે ટ્યુબવેલના ખાડા ખુલ્લા રાખવામાં આવશે અને નિર્દોષ લોકો તેમાં પડીને મૃત્યુ પામતા રહેશે. આખરે ક્યાં સુધી નિર્દોષ લોકોના જીવન સાથે આ પ્રકારનો ખેલ ચાલશે?
સુપ્રિમ કોર્ટે 2010માં ખેતરોમાં ખુલ્લામાં પડેલા બોરવેલમાં મૃત્યુના મામલાઓની નોંધ લેતા નિર્દેશ જારી કર્યા હતા. આમ છતાં બોરવેલમાં પડી જવાથી મૃત્યુના કિસ્સાઓ ઓછા થઈ શક્યા નથી. NCRBના અહેવાલો અનુસાર, ચાર વર્ષમાં દેશભરમાં બોરવેલમાં પડી જવાથી 281 બાળકોના મોત થયા છે. જ્યાં પણ કોઈ બાળક બોરવેલમાં ફસાઈ જાય છે ત્યાં આર્મીથી લઈને NDRF સુધીની ટીમો ઝડપભેર બચાવ કાર્યમાં લાગી જાય છે. બચાવકાર્ય ઘણા કલાકો સુધી ચાલે છે, કેટલીકવાર સફળતા મળે છે, પરંતુ મોટાભાગે બાળકોના મૃત્યુ પછી બચાવ નિષ્ફળ જાય છે.
જે રાજ્યમાં એક બાળક બોરવેલમાં પડી જાય છે, ત્યારે વહીવટીતંત્ર અકસ્માત બાદ જાગે છે અને બોરવેલ ખુલ્લો છોડનારાઓ સામે ઝુંબેશ ચલાવીને કડકતા બતાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ જમીન પર કંઈ ખાસ દેખાતું નથી. એકાદ-બે મહિનામાં બાળકોના બોરવેલમાં પડવાના સમાચાર કોઈને કોઈ રાજ્યમાંથી સામે આવે છે. 11 ફેબ્રુઆરી, 2010ના રોજ, સુપ્રીમ કોર્ટે બોરવેલ અંગે ઘણી માર્ગદર્શિકા જારી કરી હતી. પરંતુ તેમનું પાલન થતું નથી. આ જ કારણ છે કે દેશભરમાં સમાન સ્થિતિ છે. તત્કાલિન CJI કેજી બાલક્રિષ્નનની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે એક અરજી પર સ્વતઃ સંજ્ઞાન લેતા આ નિર્દેશો જારી કર્યા હતા. કોર્ટે સરકારોને આ આદેશનો વ્યાપક પ્રચાર કરવા પણ કહ્યું હતું.





