ગુજરાતમાં ‘બિપરજોય’ વાવાઝોડાનું સંકટ છવાયું છે હવે તેની અસર વરતાવાની શરુઆત થઇ ગઇ છે. રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ શરુ થઇ ગયો છે અને તેજ પવન પણ ફૂંકાઇ રહ્યો છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.
દરિયામાં 25 થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. વાવાઝોડાની અસરના કારણે દ્વારકાને દેશથી જોડતી 16 ટ્રેન આંશિક રદ કરાઈ છે જ્યારે કોસ્ટલ એરિયાને જોડતા 26 એસટી રૂટ સ્થગિત કરાયા છે. ઠેર ઠેર વિવિધ સંસ્થાઓમાં શેલ્ટર હોમ તૈયાર કરાયા છે. દ્વારકા જિલ્લામાં મેડિકલની 9 ટીમ તૈનાત કરાઇ છે. દ્વારકામાં 149 પ્રસૂતાઓનું સ્થળાંતર કરાયું છે અને 60 મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવાઈ. પોરબંદર દરિયાકાંઠે પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે પશ્ચિમ રેલ્વે દ્વારા 44 ટ્રેનો રદ કરવામાં આવી છે. સોમનાથના દરિયા કિનારે પવનની ગતિમાં વધારો થયો છે અને સમનાથથી વેરાવળ બંદર સુધીનો ભાગ ખાલી કરાયો છે. ગઈકાલે સોમનાથમાં 7 ઈચ વરસાદ વરસ્યો હતો સોમનાથમાં ગઈકાલે સાંજે 7 વાગ્યાથી વીજળી ગુલ થઇ ગઇ હતી જેથી UGVCLના કર્મચારીઓ રાતભર કામકાજમાં જોડાયા હતા. બીજી તરફ ભારે પવનના કારણે કોડીનારના માઢવાડમાં 6 મકાન ધરાશાયી થયા છે. સૂત્રાપાડા બંદર નજીક દરિયામાં પાણી ઘરોમાં ઘુસ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં અધિકારી-NDRF સ્ટેન્ડ બાય છે.
દમણ દરિયા કિનારે પોલીસ પેટ્રોલિંગ વધારાયું અને દરિયા નજીકના ગામોને એલર્ટ કરાયા છે
દક્ષિણ ગુજરાતમાં દમણના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે અને તેથી લોકોને દરિયાકિનારે ન જવા સૂચના અપાઇ છે. દમણ દરિયા કિનારે પોલીસ પેટ્રોલિંગ વધારાયું છે અને દરિયા નજીકના ગામોને એલર્ટ કરાયા છે. કચ્છના માંડવી બીચ પર પણ પવનની ગતિમાં વધારો થયો છે અને વહેલી સવારથી જ માંડવીનો દરિયો તોફાની બન્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.
અમરેલી,રાજુલા,તુલસીશ્યામમાં વન વિભાગ એલર્ટ
બિપરજોય વાવાઝોડાને પગલે વન વિભાગ એલર્ટ છે અને ગીરના જંગલમાં સિંહોના વસવાટવાળા વિસ્તારમાં 500 વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અમરેલી,રાજુલા,તુલસીશ્યામમાં વન વિભાગની નજર છે.



