અરબી સમુદ્રમાં વાવાઝોડું બિપરજોય સૌરાષ્ટ્ર-કચ્છ તરફ ઝડપી પવન સાથે આગળ વધી રહ્યું છે. દરિયામાં આ વાવાઝોડું 3 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીના કહેવા મુજબ, આ સ્પીડ વધી શકે છે. ‘બિપરજોય’ વાવાઝોડું આજે સાંજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે.
બિપરજોય વાવાઝોડું ભારતીય હવામાન વિભાગએ શક્યતા વ્યક્ત કરી છે કે, તે સાંજના 4 થી 8 વાગ્યાની વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને તેને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠેથી જખૌ બંદર નજીકથી માંડવી અને કરાચી વચ્ચેથી પસાર થઈ શકે છે. વાવાઝોડું ભારે વિનાશ સર્જશે તેવી સંભાવના પણ જાણવા મળી છે. વાવાઝોડું દરિયાકાંઠે ટકરાશે ત્યારે પવનની ઝડપ 150 કિમી પ્રતિ કલાક સુધી રહેશે. જો કે 16 અને 17 જૂને બિપરજોયનો આફ્ટર શોક ચોંકાવશે.
રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને જોતા 8 જિલ્લામાંથી 74 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વળી આ સાથે તંત્ર તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ બની ગયું છે. તંત્ર તે તમામ પગલા લઇ રહ્યું છે જેથી કોઇ જાન-માલનું નુકસાન ન થાય. રાજ્યમાં 4000 હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે, કારણ કે તેજ પવનને કારણે તે પડી જવાનો ભય છે.
જેમ જેમ વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ રાજ્યના દરિયાકાંઠે પવનની ઝડપ પણ વધતી જોવા મળી રહી છે. લોકોની મદદ માટે સેંકડો બચાવ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા બુધવારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રેડ એલર્ટ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો માટે જારી કરવામાં આવ્યું છેજ્યાં બિપરજોય ચક્રવાત 130-145 કિમીની ઝડપે આવી શકે છે.
કચ્છ પછી વાવાઝોડાનો બીજો મોટો ખતરો ઉત્તર ગુજરાત પર
કચ્છ પછી વાવાઝોડાનો બીજો મોટો ખતરો ઉત્તર ગુજરાત પર મંડરાયો છે. ગુરુવારે કચ્છમાં લેન્ડફોલ કર્યા બાદ વાવાઝોડું શુક્ર અને શનિ એટલે કે, 16 અને 17 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં તબાહી મચાવી શકે છે. લેટેસ્ટ ફોરકાસ્ટ મુજબ આ બન્ને દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું કે, વાવાઝોડું જરાય નબળું પડ્યું નથી અને તેની ઈન્ટેન્સિટીમાં પણ કોઈ ઘટાડો થયો નથી. વાવાઝોડાની આંખ અંગે વાત કરતાં હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, આંખના મધ્ય ભાગમાં તીવ્રતા હંમેશાં ઓછી જ હોય છે. પણ તેની આસપાસનો ઘેરાવ વધુ ખતરનાક હોય છે. હવામાન વિભાગે કહ્યું હતું કે અત્યારે વાવાઝોડાની ગતિ ભલે ધીમી હોય, પણ 125થી 150ની સ્પીડે જ કાંઠે ટકરાશે. એટલા માટે જ એની આગાહીમાં કોઈ ફેરફાર કર્યો નથી.
આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી
વાવાઝોડાની કચ્છ-ભુજમાં સૌથી વધારે અસર થવાની છે ત્યારે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. બુધવારે મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.




