હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે, મહારાષ્ટ્રની નજીક હોવાને કારણે વાવાઝોડાની અસર ગોવામાં પણ જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે, દરિયાના મોજા ગોવાના બીચ પર પહેલાથી જ ઉંચા થઈ ગયા છે. આવી સ્થિતિમાં પ્રવાસીઓને બીચ પર જવા પર રોક લગાવી દેવામાં આવી છે.
ચક્રવાતી તોફાન બિપરજોયના કારણે મધ્યપ્રદેશના શહડોલ, જબલપુર, ભોપાલ અને નર્મદાપુરમ વિભાગમાં વીજળી પડવાની સંભાવના છે. આગામી 24 કલાકમાં ખંડવા, ખરગોન, બરવાની, બુરહાનપુર, સાગર, ઝાબુઆ, ઉજ્જૈન, રીવા, સતના અને છતરપુર જિલ્લામાં પણ વીજળી પડવાની સંભાવના છે. આ સિવાય કેટલાક શહેરોમાં ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા છે.
ચક્રવાતી તોફાન ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યા બાદ રાજસ્થાનના જોધપુર અને ઉદયપુર ડિવિઝનમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. 16 જૂને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે જોધપુર, ઉદયપુર અને અજમેરમાં 17 જૂન સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે ચક્રવાત બિપરજોયની દિલ્હી-એનસીઆર વિસ્તારોમાં વધુ અસર થવાની સંભાવના નથી. જોકે, દિલ્હીને અડીને આવેલા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.





