સૌરાષ્ટ્ર-કચ્છ પર આજે બપોર બાદ વાવાઝોડા ‘બિપોરજોય’ ત્રાટકવા જઈ રહ્યું છે તે સમયે વાવાઝોડાના પગલે જે તિવ્ર પવન-ભારે વરસાદ સહિતની સ્થિતિનું નિર્માણ થનાર છે તેમાં મોબાઈલ સેવાના નેટવર્કને પણ અસર થવાની સંભાવના છે. આ સમયે મોબાઈલધારક માટે તા.17 જૂન સુધી તેના સર્વિસ પ્રોવાઈડરની સેવા ખોરવાય તો અન્ય નેટવર્કનો પણ ઉપયોગ કરવા માટેની સુવિધા આપવામાં આવી છે.
વાવાઝોડાની સૌથી વધુ અસર થનાર છે તે સાત જીલ્લા- કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારીકા, રાજકોટ, પોરબંદર, મોરબી ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં તા.17 જૂન સુધી રાત્રીના 12 વાગ્યા સુધી આ જીલ્લામાં ગ્રાહક પોતાના મોબાઈલ ફોનના સીમ સેટીંગમાં જઈને તેમાં મેન્યુઅલ મોબાઈલ નેટવર્કનો જે વિકલ્પ છે તેનો ઉપયોગ કરશે તો જે મોબાઈલ કંપનીનું નેટવર્ક ઉપલબ્ધ હશે તેની સાથે તે કનેકટ થઈ જશે. આ માટે મોબાઈલ સેટીંગ, સીમકાર્ડ, મોબાઈલ નેટવર્ક, મેન્યુઅલી પસંદ કરવાનું રહેશે.
આ ઉપરાંત તમામ મોબાઈલ નેટવર્ક સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને તેમના નેટવર્ક પુરી રીતે જળવાય તે જોવા અને તેના ટાવર માટેના જનરેટર સેટ માટે ડિઝલ-ઈંધણ ઉપલબ્ધ રહે તે જોવા તથા જો સેવા ખોરવાય તો તુર્તજ પુન:સ્થાપીત થઈ શકે તે માટે ટીમો ઉપલબ્ધ રાખવા પણ જણાવાયું છે અને તેના માટે મોબાઈલ કંપનીઓ પોતાના ખાસ કંટ્રોલરૂમ પણ ચાલુ કરશે તથા રોમીંગ સહિતની સુવિધામાં પણ કોઈ વિધ્ન ના આવે તે જોવા જણાવાયું છે.



