આખા સૌરાષ્ટ્ર ઉપર ‘બિપરજોય’ નામની વાવાઝોડારૂપી કુદરતી આફત ઝળુંબી રહી છે અને આ વાવાઝોડું ગમે ત્યારે સૌરાષ્ટ્ર ઉપર ત્રાટકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા સલામતિના તમામ પગલાંઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્રના તમામ એરપોર્ટ રાજકોટ ઉપરાંત જામનગર, ભાવનગર, પોરબંદર, ભૂજ, દિવ ઉપર આજે એક પણ ફ્લાઈટ ઉડાન નહીં ભરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
અહીંથી તમામ ફ્લાઈટોની ઉડાન ગઈકાલથી જ બંધ કરી દેવામાં આવી હતી ત્યારે આજે વાવાઝોડાનો ખતરો ટળી ગયા બાદ આવતીકાલે ફ્લાઈટની ઉડાનને મંજૂરી આપવી કે નહીં તેનો સાંજ સુધીમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રના એરપોર્ટ ઉપરથી એક પણ ફ્લાઈટે ઉડાન ન ભરી હોવાની ઘટના ઘણા લાંબા સમય બાદ બની છે.
એરપોર્ટ ઓથોરિટી દ્વારા આગોતરી જાણ કરી દેવામાં આવી હોવાથી કોઈ પ્રકારની હડિયાપટ્ટી સર્જાવા પામી નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખી લોકો પણ હવાઈ મુસાફરી કરવાનું ટાળી રહ્યા હોવાથી આજે સૌરાષ્ટ્રના દરેક એરપોર્ટ સૂમસામ ભાસી રહ્યા છે. હવે સૌરાષ્ટ્ર ઉપરથી વાવાઝોડાનો ખતરો ટળે ત્યારબાદ જ હવાઈ સેવાનું સંચાલન રાબેતા મુજબ થાય તેવી શક્યતા છે.


