પાકિસ્તાન આતંકવાદનું એપિસેન્ટર હોવાની વાત નવી નથી ત્યારે અમેરિકાએ તેને લશ્કર-એ-તોઇબા સહિતના આતંકવાદી જૂથોને કાયમી ધોરણે વિખેરી નાખવા માટે અસરકારક પગલાં લેવા જણાવ્યું છે. અમેરિકાએ સોમવારે મીડિયાને જણાવ્યું હતું કે, તે પાકિસ્તાનના અધિકારીઓ સાથેની વાતચીતમાં આ મુદ્દો ઉઠાવવાનું ચાલુ રાખશે અને સાથે મેળીને આતંકવાદના ખતરાને ખતમ કરવા પ્રયાસ કરશે.
અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે જણાવ્યું હતું કે, “અમે માર્ચ ૨૦૨૩ના સંવાદમાં પણ પાકિસ્તાનને લશ્કર-એ તોઇબા, જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોને કાયમી ધોરણે વિખેરી નાખવા જણાવ્યું હતું. આગામી સમયમાં પણ પાકિસ્તાનના અધિકારીઓ સાથેની વાટાઘાટમાં અમે આ મુદ્દો ઉઠાવતા રહીશું.” સંયુક્ત નિવેદનમાં પ્રેસિડેન્ટ બાઇડેન અને વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રના આતંકવાદી જૂથોની યાદીમાં સામેલ અલ કાયદા, આઇએસઆઇએસ, લશ્કર-એ-તોઇબા, જૈશ-એ-મોહમ્મદ અને હિજબુલ મુઝાહિદીન સામે સંયુક્ત કાર્યવાહી પર ભાર મૂક્યો હતો. બંને નેતાએ સરહદ પારના આતંકવાદને વખોડ્યો હતો અને પાકિસ્તાનને તાકીદ કરી હતી કે આતંકવાદી હુમલા માટે તેના અંકુશ હેઠળના વિસ્તારનો ઉપયોગ અટકાવવામાં આવે.




