ભારતમાં, ચોરી અને છેતરપિંડી જેવા ગુનાઓમાં મહત્તમ આજીવન કેદની સજા થઈ શકે પરંતુ મધ્યપ્રદેશની એક કોર્ટે એક વ્યક્તિને 170 વર્ષની જેલની સજા ફટકારી છે આ સાથે કોર્ટે આરોપી પર 72 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ગુજરાતના તાપીના રહેવાસી 55 વર્ષીય નાસીર મોહમ્મદ ઉર્ફે નાસીર રાજપૂતને કોર્ટે 34 લોકોને છેતરવા બદલ સજા ફટકારી છે.
મળતી માહિતી મુજબ આરોપીઓએ ગારમેન્ટ ફેક્ટરી લગાવવાના નામે 34 લોકો સાથે છેતરપિંડી કરી હતી. સાગર જિલ્લાના ભૈંસા અને સદર ગામના રહેવાસીઓએ વર્ષ 2019માં આરોપી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. મામલો કોર્ટમાં ગયો અને સુનાવણી થઈ. સુનાવણીમાં, તેને કલમ 420 (છેતરપિંડી) હેઠળ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો, જેમાં મહત્તમ સાત વર્ષની સજા છે. આ કેસમાં તેને 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને દરેક પીડિતને 10,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
અપર સેશન્સ કોર્ટના જજ અબ્દુલ્લા અહેમદે પોતાના ચુકાદામાં કહ્યું કે દોષિતે 34 લોકોને છેતર્યા છે. દરેક પીડિતના સંદર્ભમાં અલગ-અલગ રીતે સજા થવી જરૂરી છે, કારણ કે દરેક પીડિતના સંદર્ભમાં આરોપીએ કરેલા ગુનાની જવાબદારી પણ અલગ-અલગ હોય છે. આનો અર્થ એ છે કે તે 34*5 અથવા 170 વર્ષ માટે જેલમાં રહેશે.