ગુરુપૂર્ણિમાના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘માઇગ્રન્ટ પાક હિંદુ ડોક્ટર્સ રજીસ્ટ્રેશન આભાર સમારોહ’માં સૌને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, આજનો દિવસ ગુરૂજનોને સમર્પિત હોય છે. ગુરુ એટલે એવી વ્યક્તિ જેમણે અંધકારમાંથી ઉજાસ તરફની યાત્રા કરાવી હોય છે. આજનો આ અવસર આપણા માટે એટલો જ મહત્વનો છે કેમ કે મેડિકલ -આરોગ્ય ક્ષેત્ર પણ એવું સેવાક્ષેત્ર છે જ્યાં દર્દીને દુઃખ-રોગના અંધકારમાંથી બહાર લાવીને ડોક્ટર સ્વાસ્થ્ય અને તંદુરસ્તીના ઉજાસભર્યા જીવન તરફ લઈ જાય છે.
તેમણે કહ્યું કે આજે અહીં ઉપસ્થિત ડોક્ટર્સ તો એવા તબીબો છે જેમણે ખુદ પણ અંધકારથી ઉજાસ તરફની સફળ યાત્રા કરી છે અને હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતમાં કાયમી વસવાટ અને આરોગ્ય સેવા કરવા માટે તૈયાર થયા છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ત્યારે પાકિસ્તાનથી આવેલા આ હિન્દુ ભાઈઓ- બહેનો ભારત અને એમાંય ખાસ કરીને ગુજરાતની જનતાની આરોગ્ય સેવા માટે સક્ષમ બની અહીં આવ્યા છે, આમ સૌ નોબલ પ્રોફેશન સાથે નોબલ કોઝથી ભારતમાં આવ્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું
મુખ્યમંત્રી વધુમાં કહ્યું કે ભારતમાં વડાપ્રધાનશ્રીએ ભારતીય ગૌરવ, સંસ્કૃતિના પુન:સ્થાપન અને સનાતન ધર્મની સેવાનું કાર્ય કર્યું છે. નરેન્દ્ર મોદીએ સૌ ભારતીયોના હૃદયસ્થ પ્રભુ શ્રી રામની જન્મભૂમિ પર ભવ્ય રામ મંદીરના નિર્માણનો પ્રારંભ કરાવ્યો છે. એટલું જ નહીં અયોધ્યાના રામ મંદીરના દ્વાર આવતા વર્ષે ભાવિક ભક્તો માટે વિધિવત ખુલ્લા મુકવામાં આવશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, માઈગ્રેટ પાર્ક- હિન્દુ ડોક્ટર્સ આભાર સમાંરોહ અંતર્ગત કુલ ૧૩૨ ડોક્ટર્સએ એનએમસી એક્ઝામ પાસ કરી છે અને રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એટલું જ નહીં ગુજરાતમાં કુલ ૩૨ ડોક્ટર આરોગ્ય ક્ષેત્રમાં પોતાની સેવાઓ આપશે.
આ અવસરે સાંસદ કિરીટભાઇ સોલંકી, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલેજી, ગુજરાત મેડીકલ કાઉન્સિલના પ્રેસિડેન્ટ , માઈગ્રેટ પાક-હિન્દુના સંયોજક રાજેશ મહેશ્વરી તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.



