અગ્નિવીર યોજનામાં જોડાનાર ઉમેદવારોનો મોહભંગ થતો હોય તેવું લાગી રહ્યુ છે અને જેને લઇને સરકાર હવે કડક પગલાં લેવાની વિચારણા કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે અગ્નિવીરની પ્રથમ બેચમાં જોડાનાર યુવાનોમાંથી કેટલાક પોતાની ટ્રેનિંગ અધવચ્ચે જ છોડી ને જતા રહ્યા છે. જેના કારણે તેમની ટ્રેનિંગનો ખર્ચ વેસ્ટ જઇ રહ્યો છે. હવે સરકાર આને લઇને નવા નિયમો બનાવવા જઇ રહી છે.
ટ્રેનિંગ પાછળ થયેલો ખર્ચ વસૂલવામાં આવશે
અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની પ્રથમ બેચ આવતા મહિને ભારતીય સેનામાં જોડાશે. પ્રથમ બેચની તાલીમ પૂરી થઈ ગઈ છે અને બીજી બેચની તાલીમ શરૂ થવાની છે. જો કે ઘણા યુવાનો ટ્રેનિંગ અધવચ્ચે જ છોડી ગયા છે. તેમણે ટ્રેનિંગ છોડવા પાછળ અલગ-અલગ કારણો આપ્યા છે. વચ્ચે ટ્રેનિંગ છોડી દેનારા યુવાનો સામે હવે કાર્યવાહી થઈ શકે છે. સૈન્ય તેની તાલીમ પાછળ થયેલો ખર્ચ વસૂલ કરશે.
અહેવાલો અનુસાર, હાલમાં અગ્નિવીર તરીકે ભરતી થયેલા લોકો માટે તાલીમ અધવચ્ચે છોડી દેવાનો કોઈ નિયમ નથી. પરંતુ હવે સરકાર આને રોકવા માટે નિયમો લાવવાનું વિચારી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં, એક સૈન્ય અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અગ્નિવીરની પ્રથમ બેચમાં, 50 થી વધુ યુવાનો ટ્રેનિંગના અધવચ્ચે જ નીકળી ગયા હતા.બીજી બેચમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. અધિકારીનું કહેવું છે કે જે લોકો ટ્રેનિંગ છોડીને ભાગી જાય છે તેમની પાસેથી આ માટે ચાર્જ લેવામાં આવશે. જેથી જે યુવાનો સેનામાં જોડાવા માટે ગંભીર છે તેઓ જ અગ્નિવીરની તાલીમમાં સામેલ થાય.
સૈન્ય અધિકારીના જણાવ્યા અનુસાર, અગ્નિવીરની ટ્રેનિંગ છોડી ગયેલા યુવકોએ અલગ-અલગ કારણો આપ્યા છે. કેટલાક ઉમેદવારોને 30 દિવસથી વધુ મેડિકલ લીવ પર રહેવા બદલ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. કારણ કે સેનાનો નિયમ હોય છે કે જો વ્યક્તિ 30 દિવસથી વધુ ટ્રેનિંગમાં ગેરહાજર રહે તો તેને છૂટો કરી દેવામાં આવે છે. આ સિવાય અન્ય ઘણા ઉમેદવારોને બીજી સારી નોકરી મળી ગઇ હોવાથી તેમણે ટ્રેનિંદ અધવચ્ચે જ છોડી દીધી.