રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટને ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોધ્યોગીકી વિભાગનાં નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) હેઠળ વિકસાવામાં આવેલ છે. રીજીઓનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સીટી – રાજકોટ) સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી, જાગરૂકતા અને સંશોધનાત્મક અભિગમ પેદા કરવા માટે સતત કાર્યશીલ છે. રીજીઓનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા “લોકો દ્વારા, લોકો માટે” નો અભિગમ અપનાવી વખતોવખત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકો, ગૃહિણીઓ, સિનિયર સિટીઝન સહિત તમામ વયજૂથનાં લોકો માટે વિવિધ વર્કશોપ્સ, એક્ટિવિટીઝ અને સેમિનારનું આયોજન કરવામા આવે છે.
ભારતના ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ISRO) દ્વારા વિકસાવેલ મિશન ચંદ્રયાન-3 તારીખ 14 જુલાઇ 2023 એ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી બપોરે 2.35 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું. જેનાં જીવંત પ્રસારણનું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સીટી – રાજકોટ) ખાતે જાહેર જનતા માટે રાખવામાં આવેલ હતું.
જેમાં, બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનરસિક લોકોએ ભાગ લઈ ભારતના આ ગૌરવપૂર્ણ ક્ષણનાં સાક્ષી બન્યા. ચંદ્રયાન-3નો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર એક લેન્ડર અને એક રોવર પહોંચાડીને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની ક્ષમતા પ્રદર્શિત કરવાનું છે. અત્યાર સુધી માત્ર ત્રણ દેશો અમેરિકા, રશિયા અને ચીન જ ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરી શક્યા છે. ઇસરોનું આ વખતનું ચંદ્રયાન અત્યાધુનિક છે અને તેમાં નવા ઉપકરણો ઉમેરવામાં આવેલ છે અને અલ્ગોરિધમમાં પણ વધુ સુધારો કરવામાં આવ્યો છે. ઈસરોના નવાં હેવીલિફ્ટ લોન્ચ વ્હીકલ એલવીએમ-3નો ચંદ્રયાન-3 માં ઉપયોગ થવાનો છે.
LVM-3 (Launch Vehicle Mark-3) ઇસરો દ્વારા વિકસિત એક ત્રણ તબક્કાનું મધ્યમ-લિફ્ટ પ્રક્ષેપણ યાન છે અને તે ઈસરોનું સૌથી શક્તિશાળી રોકેટ કહી શકાય તેમ છે જેનો ઉપયોગ ચંદ્રયાન-3 મિશનને લોન્ચ કરવા માટે કરવામાં આવશે. તેનો ક્રાયોજેનિક અપર સ્ટેજ CE-20 દ્વારા સંચાલિત છે, જે ઇસરોના જણાવ્યા અનુસાર ભારતનું સૌથી મોટું કહી શકાય તેવું ક્રાયોજેનિક્સ એન્જિન છે. ચંદ્રયાન-3 મિશનના લેન્ડિંગ સાઇટને ‘ડાર્ક સાઇડ ઓફ મૂન’ કહેવામાં આવે છે
કારણ કે આ ભાગ પૃથ્વીની સામે આવતો નથી. આજરોજ 14 જુલાઇએ લોન્ચ થયા પછી મિશનના તમામ તબક્કાઓને પુરો થતાં 40-45 દિવસ લાગશે અને 23 કે 24 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે. ચંદ્રયાન-3 આ વખતે ઓર્બિટર મોકલી રહ્યું નથી, પરંતુ સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ મોકલવામાં આવી રહ્યું છે, જે લેન્ડર અને રોવરને ચંદ્રમાની કક્ષા સુધી લઇ જશે ત્યારબાદ તે ચંદ્રની ચારેતરફ તેની કક્ષામાં ચક્કર લગાવતું રહેશે. ઈસરો અનુસાર ચંદ્રયાનના લેન્ડિંગ માટે દક્ષિણ ધ્રુવની નજીકના એક ચોક્કસ પોઇન્ટને ટાર્ગેટ કરવામાં આવશે અને જો કોઈ કારણસર લેન્ડિંગમાં સમસ્યા સર્જાશે તો ચંદ્રયાનને તેની નજીક ગમે ત્યાં લેન્ડ થશે અને આ વખતે ચંદ્રયાન-3 ચંદ્ર જરૂર લેન્ડ થશે જેના માટે ઇસરોએ વૈકલ્પિક સ્થાન પર અવરજવર કરવા માટે વધારે બળતણ અને ક્ષમતા પ્રદાન કરી છે.
રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સીટી – રાજકોટ) દ્વારા આજરોજ તા.14મી જુલાઈ 2023ના બપોરે 2:35 કલાકે ‘ચંદ્રયાન-3ના પ્રક્ષેપણનું જીવંત પ્રસારણનું જાહેર જનતા માટે આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આશરે 150 થી વધુ વિજ્ઞાનરસિક લોકો, જેમાં શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના યુવાનો અને સિનિયર સીટીઝન વગેરે એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની સાથે સાથે ચંદ્રયાન-3ની રસપ્રદ માહિતી પણ આપવામાં આવી જેમાં ચંદ્રયાન-1 , ચંદ્રયાન-2ની પ્રાથમિક માહિતી ઉપરાંત ચંદ્રયાન-3ના અલગ અલગ ભાગ અને સંરચનાથી માહિતગાર કરવામાં આવ્યાં. બપોરના 2:35ના ટકોરે ભારતની આ ઐતિહાસિક ક્ષણને વધુ યાદગાર બનાવવાં ઉપસ્થિત તમામ લોકો એ ચંદ્રયાન-3ના લોન્ચની છેલ્લી 10 સેકંડ પહેલાં કાઉન્ટડાઉન શરૂ કરેલ અને ચંદ્રયાન-3 લોન્ચ થતાં જ ‘ભારત માતા કી જય’ અને ‘વંદેમાતરમ’નો જય ઘોષ સાથે ભારતના વૈજ્ઞાનિકોની આ ઐતિહાસિક સિદ્ધિને વધાવી હતી





