વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન રાજકોટનું હીરાસર એરપોર્ટ તૈયાર થઈ ચૂક્યું છે. હીરાસર એરપોર્ટના લોકાર્પણને લઈને મોદી ફરી એક વખત ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી 27 જુલાઈના રોજ હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે. કલેક્ટર તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
હીરાસર એરપોર્ટના ઉદ્ઘાટનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર જેટલા કામ બાકી છે તે DGCA (ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન)ના ઓબ્ઝર્વેશન હેઠળ પૂરા કરવામાં આવી રહ્યા છે. PM મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ખુલ્લું મુકવામાં આવશે. ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણથી સમગ્ર સૌરાષ્ટ્રને ફાયદો થશે.
રાજકોટના કુવાડવા ગામ પાસે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને 1032 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. જેમાં 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે અને પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે. રાજકોટના આ એરપોર્ટના રનવેની કુલ લંબાઈ 3.4 કિમી છે.
આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 280થી વધુ મુસાફરોની વહનક્ષમતા અને પ્રતિ કલાક 5,375 કિલોમીટરની સ્પીડથી ઊડી શકે એવાં ‘સી’ પ્રકારનાં પ્લેન ઓપરેટ થશે. આને પગલે એરબસ (A 320-200), બોઇંગ (B 737-900) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે. એરપોર્ટ પર સોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ એરપોર્ટ પર સમાંતર બે ટેક્સી-વે રહેશે તથા એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો, MRO/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે, જેમાંથી ત્રણ એરોબ્રિજ હશે અને ત્રણ કન્વેયર બેલ્ટ હશે. એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી બે કસ્ટમ કાઉન્ટર સાથે 8 ઈમિગ્રેશન કાઉન્ટર હશે.