અમદાવાદમાં બનેલી અકસ્માતની ઘટનાના પડઘા રાજ્યમાં પડ્યા છે. સુરતમાં પણ રાંદેર પોલીસે મોપેડ લઈને જોખમી રીતે વાહન હંકારતા સગીર અને તેને વાહન આપનાર પિતા સામે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ મામલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે.
સુરતના અડાજણમાં થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તેમણે રસ્તાઓ પર સ્ટંટબાજી કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અંગેનું મહત્વનું નિવેદન આપ્યું હતું. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે જે બાળકો વાહનો લઈને સ્ટંટ કરે છે તે બાળકો તો જવાબદાર છે જ પરંતુ તેના વાલીઓ પણ એટલા જ જવાબદાર છે. બાળકો પાસે લાયસન્સ ન હોય અને વાલીઓએ વાહનો હંકારવા આપશે અને જો એ કોઈ પ્રકારના નિયમ તોડશે તો જરૂરથી જેટલા લોકો પર કાર્યવાહી કરવાની હશે તે થશે જ કોઈ પણ પ્રકારની ભલામણ કે છૂટ ચલાવી લેવામાં આવશે નહીં.


