અમદાવાદમાં ગત બુધવારે રાત્રે ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલો અકસ્માત હજુ ભૂલાયો નથી ત્યાં શહેરમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. શહેરના મણીનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે નશામાં ધૂત નબીરાએ બેફામ કાર ચલાવી બાંકડા પર કાર ઘુસાડી દીધી હતી. જો કે, બાંકડા પર બેસેલા ત્રણ લોકો સમય સૂચકતા વાપરી બાંકડાથી દૂર ખસી જતાં જાનહાની ટળી હતી. આ અકસ્માતમાં નશામાં ધૂત નબીરાની કાર ચારથી પાંચ પલટી મારી ગઈ હતી. તો ગાડીમાંથી દારૂ અને બિયરની બોટલ પણ મળી આવી હતી.
મણીનગર વિસ્તારમાં જવાહર ચોક પાસે પ્રભુ એપાર્ટમેન્ટ સામે ગઈકાલે રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી અને બાંકડા સાથે અથડાઈ હતી. જોકે, આ બાંકડા પર બેસેલા ત્રણ વ્યક્તિઓએ સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં કાર ચાલકને પહોંચી ઈજા પહોંચી હતી અને તે નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ઘટનામાં કાર ચાલક સહિત ત્રણ નબીરાઓને સ્થાનિકોએ દબોચીને પોલીસને સોંપ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરી તો બિયરની બોટલ પણ મળી આવી હતી. જે બાદ ડ્રિંક એન્ડ ડ્રાઇવ મામલે પોલીસે તપાસ તેજ કરી છે.
અકસ્માતની ઘટનામાં બચેલા અને પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, જો હું સમયસર બાંકડા પરથી દૂર ન ગયો હોત તો મારું મોત નક્કી થઈ ગયું હોત. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, હવે ડર લાગવા લાગ્યો છે. ત્રણ નબીરાઓએ રાત્રીના સમયે સીયાઝ કારમાં પૂરપાટે આવી અક્સ્માત સર્જ્યો હતો. અકસ્માત કરનાર વાહનચાલકની કારમાંથી દારૂની બોટલો પણ મળી છે.


