મેઘાલયમાં વિન્ટર કેપિટલની માંગને લઈને ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાએ આંદોલનકારી સંગઠનોને આ મુદ્દે વાત કરવા માટે બોલાવ્યા હતા. મુખ્યમંત્રી કોનરાડ સીએમઓ ઓફિસ તુરા ખાતે 3 કલાકથી વધુ સમય સુધી આંદોલનકારી સંગઠનો સાથે શાંતિપૂર્ણ ચર્ચા કરી રહ્યા હતા. દરમિયાન સીએમઓ તુરા પાસે અચાનક હજારોની ભીડ આવી ગઇ હતી અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો જેના પગલે અફરા તફરી મચી ગઇ હતી.
જવાબી કાર્યવાહીમાં પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ ઘટના અને હંગામામાં પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. સીએમઓની બારીઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મામલે મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે ભીડમાંથી કેટલાક લોકોએ ઓફિસ બિલ્ડિંગ અને સુરક્ષા કર્મચારીઓ પર પથ્થરમારો શરૂ કર્યો અને ગેટ તોડવાનો પ્રયાસ કર્યો. સીએમ કોનરાડ સંગમાએ પોતે હિંસામાં ઘાયલ થયેલા સુરક્ષાકર્મીઓની સંભાળ લીધી હતી અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.