મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં મધરાત્રે બે ખાનગી બસો અથડાઈ હતી. આ અકસ્માતમાં બે મહિલા સહિત 6 લોકોના મોત થયા હતા. આ દરમિયાન અન્ય 21 લોકો ઘાયલ થયા હતા. મલકાપુર શહેર પાસે નેશનલ હાઈવે-6 પર આ અકસ્માત થયો હતો. બંને બસો મધરાત્રે 2.30 વાગ્યે અકસ્માતની ભોગ બની હતી.
અધિકારીના જણાવ્યા અનુસાર અકસ્માતનો ભોગ બનેલી બસમાંથી એક બસ અમરનાથ યાત્રા બાદ હિંગોલી જઈ રહી હતી જ્યારે બીજી ખાનગી બસ નાસિક તરફ જઈ રહી હતી. બસે એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સામેથી બીજી બસ આવીને અથડાઈ હતી. બે મહિલાઓ સહિત 6લોકોના મોત થયા છે અને 21 લોકો ઘાયલ થયા છે. જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. અકસ્માતને કારણે થોડા સમય માટે રોડ પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.