નવી શિક્ષા નીતિ હેઠળ રાષ્ટ્રીય અભ્યાસક્રમનું ફ્રેમવર્ક તૈયાર થઈ ગયું છે અને ટુંક સમયમાં જ તેને લાગુ કરવામાં આવશે અને દેશની તમામ સીબીએસઈ સંચાલીત સ્કુલોમાં એક જ સમાન અભ્યાસક્રમ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષા નીતિની ત્રીજી વર્ષગાંઠના અવસરે દિલ્હીના પ્રગતિ મેદાનમાં નવનિર્મિત ભારત મંડપમમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદઘાટન કર્યુ હતું.
પીએમશ્રી યોજના હેઠળ નાણાકીય સહાયનો પ્રથમ હપ્તો પણ જાહેર કર્યો હતો. આ યોજના હેઠળ દેશની 14500થી વધુ શાળાઓને પ્રધાનમંત્રીશ્રી સ્કુલ હેઠળ નાણાકીય સહાય આપવામાં આવે છે. વડાપ્રધાને આ ઉપરાંત 12 ભારતીય ભાષામાં 100 પુસ્તકોનું પણ વિમોચન કર્યુ હતું. શ્રી મોદીએ જણાવ્યું હતું કે યુવાઓની પાસે સ્થાનિક ભાષામાં અભ્યાસક્રમથી એક આત્મવિશ્વાસ વધશે અને તેની પ્રતિભા સામે આવશે.
બે દિવસના આ સમારોહમાં દેશભરમાંથી શિક્ષણક્ષેત્રના નિષ્ણાંતો નીતિ નિર્માતાઓ તથા શિક્ષણ કૌશલ્ય સાથે જોડાયેલા તમામ ઉપસ્થિત છે. શ્રી મોદીએ આ સમયે વિદ્યાર્થીઓ સાથે પણ સીધો સંવાદ કર્યો હતો અને અભ્યાસમાં તેમની કુશળતાઓ તથા મુશ્કેલીઓ અંગે પણ માહિતી મેળવી હતી. મોદીએ કહ્યું કે, કાશીના રૂદ્રાક્ષથી આ મંડપમ એ આધુનિક ભારતનું પ્રતિબિંબ છે. શિક્ષણ એ એક એવુ હથિયાર છે કે જેનાથી રાષ્ટ્રનું ભાવિ બદલી શકાય છે અને દેશને આગળ વધવા માટે જે શક્તિની જરૂર છે તે શિક્ષણ પુરુ પાડે છે. આજે વડાપ્રધાનનું આ સંબોધન દેશભરમાં શાળાઓમાં પ્રસારીત કરવામાં આવ્યું હતું.