હરિયાણાના મેવાત, ગુરુગ્રામ, ફરીદાબાદ અને રેવાડી આ ચાર જિલ્લા છે જ્યાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. બંને પક્ષો વચ્ચેનો વિવાદ અને પથ્થરમારો બાદ તણાવનો માહોલ ઉભો થયો છે. આ તણાવ મેવાતના નૂહ વિસ્તારથી શરૂ થયો હતો. જ્યાં હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવી રહેલી બ્રજમંડળ યાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ બાદ પથ્થરમારો થયાની વિગતો સામે આવી હતી ત્યારબાદ પચાસ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ હિંસામાં બે હોમગાર્ડ અને એક નાગરિક મોત થયા હતા અને 10થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
શરૂઆતી માહોલમાં મેવાતની પોલીસ દળ હિંસા પર કાબૂ મેળવવા માટે ઓછું પડ્યું હતું અને આવી સ્થિતિમાં મેવાત ફોર્સને ગુરુગ્રામથી હિંસા પ્રભાવિત વિસ્તારમાં મોકલવામાં આવી હતી. આ દરમિયાન હુમલાખોરોએ મેવાતથી ગુરુગ્રામ જઈ રહેલા પોલીસ વાહનો પર પણ પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તો બીજી તરફ હોમગાર્ડ નીરજ અને હોમગાર્ડ ગુરસેવક નું મોત થયું હતું.
હરિયાણાનો મેવાત-નુહ વિસ્તાર પહેલાથી જ ગાય-તસ્કરી વિવાદમાં ખૂબ જ સંવેદનશીલ રહ્યો છે. આ વિસ્તાર દેશની રાજધાનીથી માત્ર દોઢ કલાકના અંતરે આવેલો છે. મેવાત જેવા વિસ્તારોમાં ધાર્મિક યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મંદિરને ઘેરીને હુમલાનો દાવો કરવામાં આવ્યો હતો, જેને લઈ અનેક લોકો મંદિરમાં ફસાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો જે બાદમાં રેસ્ક્યુ પણ કરવામાં આવ્યો હતો.
નૂહના ડેપ્યુટી કમિશનર પ્રશાંત પંવાર કહ્યું કે, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ઈન્ટરનેટ સેવાઓ 3 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કર્ફ્યુના આદેશ આપવામાં આવ્યા છે અને અમે બધાને શાંતિ જાળવવા અપીલ કરીએ છીએ. ફસાયેલા તમામ લોકોને બચાવી લેવાયા છે તેમજ એક જાનહાનિના અહેવાલ છે અને સ્થિતિ હવે સામાન્ય છે. જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. બીજી તરફ ગુરુગ્રામના પોલીસ કમિશનરે કહ્યું કે સોહનામાં સ્થિતિ તનાવપૂર્ણ છે.
મેવાત જિલ્લામાં બબાલ બાદ કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે. ડેપ્યુટી કમિશનરે સ્થાનિક લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. જિલ્લામાં વધારાની પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે તેમજ આગામી આદેશ સુધી મેવાત જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. જિલ્લાના ડીએમએ ટેલિકોમ કંપનીઓને આ સંબંધિત આદેશો જારી કર્યા છે. હંગામા બાદ નુહ અને મેવાત વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા આગામી આદેશ સુધી અને કોલિંગ અને મેસેજિંગ સેવાઓ 2 ઓગસ્ટ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા છે. ડેપ્યુટી કમિશનરે 1 ઓગસ્ટે તમામ સરકારી અને ખાનગી શાળાઓને બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.
હિન્દુ સંગઠનો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે બ્રજમંડળ યાત્રા નીકાળવામાં આવશે. પ્લાન મુજબ મેવાતમાં શિવ મંદિરની સામે બ્રિજમંડળ યાત્રા કાઢવામાં આવી રહી હતી ત્યારે યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ બ્રિજમંડળ યાત્રામાં બજરંગ દળના અનેક કાર્યકરો પહોંચ્યા હતા. મોનુ માનેસરે પહેલા જ વીડિયો શેર કરીને યાત્રામાં વધુને વધુ લોકોને પહોંચવાની અપીલ કરી હતી. મોનુ માનેસરની અપીલથી નારાજ નૂહના સ્થાનિક લોકોએ ભારે હંગામો મચાવ્યો હતો અને ત્યારે જ આ પથ્થરમારો થયો હતો.






