ભારતના ધમધમતા અર્થતંત્ર લોકોની આવકમાં વધારો જેવા પરિબળોનો પ્રભાવ હોય તેમ કરદાતાઓની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી છે. નાણાંકીય વર્ષ 2023-24 ના આકારણી વર્ષ માટે 6.77 ક્રોડની વિક્રમી સંખ્યામાં રીટર્ન ફાઈલ થયા છે. ગત વર્ષની સરખામણીમાં તેમાં 16.1 ટકાનો મોટો વધારો થયો છે. ગત વર્ષે 5.83 કરોડ રીટર્ન ફાઈલ થયા હતા.
કેન્દ્રનાં મહેસુલ વિભાગ દ્વારા થયેલી જાહેરાત પ્રમાણે કરવેરા વસુલાતનો વ્યાપ વધતો હોય તેમ આ વર્ષે 53.7 લાખ લોકોએ પ્રથમ વખત રીટર્ન ફાઈલ કર્યા છે. 31 મી જુલાઈએ આવકવેરા રીટર્ન ફાઈલ કરવાનો અંતિમ દિવસ હતો. છેલ્લા દિવસે જ 64.33 લાખ રીટર્ન ફાઈલ થયા હતા. કરદાતાઓને પ્રામાણીક પણે ટેકસ ચુકવવા તથા આવકવેરા રીટર્ન ફાઈલ કરવામાં સરકાર તથા ઈન્કમટેકસ તંત્ર દ્વારા સોશ્યલ મીડીયા એસએમએસ તથા ઈ-મેઈલ મારફત અભિયાન ચલાવ્યું હતું તેનો પણ ઘણા અંશે પ્રભાવ માલુમ પડયો હતો.
કરદાતાઓની સરળતા માટે આવકવેરા રીટર્ન 1,2,3 અને 4 માં કરદાતાનાં પગાર, વ્યાજ, ડીવીડન્ડ, આવક, વ્યકિતગત માહીતી, ટેકસ પેમેન્ટ સહીતની વિગતો ભરેલા ફોર્મ જ આપવામાં આવ્યા હતા. કરદાતાઓએ તેનો પુરેપુરો લાભ લીધો હોવાનું માલુમ પડયુ હતું અને તેનાં પરિણામો રીટર્ન ફાઈલીંગ પ્રક્રિયા પણ સરળ અને ઝડપી બની શકી હતી.
ચાલુ નાણાંકીય આકારણી વર્ષ માટે કુલ 6.77 કરોડ આવકવેરા રીટર્ન ફાઈલ થયા છે, તેમાંથી 49.18 ટકા અર્થાત 3.33 કરોડ આઈટીઆર-1 11.97 ટકા અર્થાત 81.1 લાખ આઈટીઆર-2 11.13 ટકા અર્થાત 75.4 લાખ, આઈટીઆર-3 26.77 ટકા અર્થાત 1.81 કરોડ, આઈટીઆર-4 અને 0.94 ટકા અર્થાત 6.4 લાખ આઈટીઆર 5 થી આઈટીઆર-7 ફાઈલ થયા હતા. આધાર ઓટીપી મારફત ઈ-વેરીફીકેશન પ્રક્રિયા અંતર્ગત 5.63 કરોડ રીટનર્નું ઈ-વેરીફીકેશન થયુ હતું. તેમાંથી 3.44 કરોડ 31 જુલાઈ સુધીમાં પ્રોસેસ પણ કરી લેવામાં આવ્યા હતા.