અમેરિકાના શિકાગોમાં ડિપ્રેશન અને ભૂખમરાની સ્થિતિમાં જોવા મળેલી હૈદરાબાદની વિદ્યાર્થિની હવે ઠીક છે. આ જાણકારી ભારતીય કોન્સ્યુલેટ કચેરી દ્વારા આપવામાં આવી છે. કોન્સ્યુલેટ કચેરી દ્વારા ટ્વિટ કરીને જણાવાયું હતું કે અમને ખુશી છે કે અમે સૈયદા ઝૈદીનો સંપર્ક કરી શક્યા છીએ. તે બિલકુલ ઠીક છે અને તેણે ભારતમાં પોતાની માતા સાથે પણ વાત કરી છે.
દૂતાવાસે કહ્યું હતું કે અમે વિદ્યાર્થિનીની શક્ય એટલી તમામ મદદ કરવા માટે તૈયાર છીએ. હાલ અમે તેને મેડિકલ સહાયતા આપવા અને તેને ભારત જવામાં મદદ કરવાનો પ્રસ્તાવ આવ્યો છે. તેણે હજુ સુધી ભારત પરત ફરવા માટે અમારા પ્રસ્તાવનો જવાબ આપ્યો નથી. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદની એક વિદ્યાર્થિની તાજેતરમાં જ અમેરિકાના શિકાગોના રોડ પર ડિપ્રેશન અને ભૂખમરાની હાલતમાં જોવા મળી હતી. દીકરીની આ હાલત જોઇને માતાએ સરકારને તેને ભારત પરત લાવવા માટે મદદ માટે રાવ કરી હતી. જ્યારે શિકાગોમાં ભારતની કોન્સ્યુલેટ કચેરીએ આશ્વાસન આપ્યું હતું કે પીડિતાની શક્ય એટલી તમામ મદદ કરવામાં આવશે. ઝૈદીની માતાએ વિદેશપ્રધાન એસ.જયશંકરને પત્ર લખીને દીકરીને ઘરે પરત લાવવા માટે મદદ માગી હતી.
તેલંગાણાના હૈદરાબાદની લુલુ મિન્હાઝ ઝૈદી વર્ષ 2021માં ડેટ્રોઇટની યુનિવર્સિટીમાં એમએસ કરવા માટે અમેરિકા ગઇ હતી. તે છેલ્લા બે મહિનાથી પોતાની પુત્રીના સંપર્કમાં નહોતી. તાજેતરમાં જ શિકાગોમાં રહેતા હૈદરાબાદના બે યુવાનો પાસેથી તેને જાણકારી મળી હતી કે ઝૈદી હાલ ડિપ્રેશનમાં છે. તેનો સામાન ચોરાઇ ગયો છે.




