સિમલામાં ફરી ભૂસ્ખલનથી 8 મકાનો સહિતની ઈમારતો ધરાશાયી: બેના મોત, અનેક દટાયા:
હિમાચલપ્રદેશ તથા ઉતરાખંડમાં મેઘતાંડવની હાલત યથાવત રહી છે. સિમલા જેવા શહેરોમાં ભેખડ ધસી પડવાની વધુ ઘટનાઓ નોંધાઈ હતી. આકાશી આફતનો મૃત્યુઆંક 66 પર પહોંચ્યો છે.
હિમાચલપ્રદેશમાં રવિવારથી સતત એકધારા ભારે વરસાદને કારણે જળપ્રલયને સ્થિતિ સર્જાઈ છે. ભૂસ્ખલન, પુર જેવી આફતોથી અનેકવિધ દુર્ઘટનામાં 66 લોકોએ જાન ગુમાવ્યા છે અને અબજો રૂપિયાનું નુકશાન થયુ છે. 17 ઓગષ્ટ સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. સિમલામાં ભૂસ્ખલનથી ધરાશાયી બનેલા શિવમંદિરના કાટમાળમાંથી વધુ ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
સિમલામાં ભૂસ્ખલનની ઘટના બની તેમાં કતલખાનુ તથા છ મકાનો જમીનદોસ્ત થયા હતા તેમાં બેના મોત નિપજયા હતા. કેટલાક લોકો દટાયેલા હોવાની શંકાથી રાહત-બચાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે પોંગ ડેમની જળસપાટી વધતા નીચાણવાળા ભાગોમાંથી 800 લોકોનુ સ્થળાંતર કરાયુ હતું.
બીજી તરફ ઉતરાખંડમાં પણ મેઘકહેર યથાવત રહ્યો હતો. 19મી સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. વધુ બે મૃતદેહો હાથ લાગતા મૃત્યુઆંક 6 થયો હતો. હજુ ચાર લોકો લાપતા છે.
ખરાબ હવામાનને ધ્યાને રાખીને આજે પણ તમામ સ્કુલ-કોલેજો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના 19 ઓગષ્ટ સુધી શિક્ષણકાર્ય બંધ કરવામાં આવ્યું છે.






