હિમાચલ પ્રદેશમાં વરસાદે ફરી એકવાર તારાજી સર્જી છે. છેલ્લા 24 કલાકમાં બે બાળકો સહિત 11 લોકોના મોત થયા છે. નોંધનીય છે કે, મંડી જિલ્લામાં વાદળ ફાટવાની બે ઘટનાઓ બની હતી. ભારે વરસાદ બાદ ચંદીગઢ-શિમલા, ચંદીગઢ-મનાલી ફોરલેન સહિત 700થી વધુ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.શિમલાથી ચંદીગઢને જોડતો શિમલા-કાલકા નેશનલ હાઈવે 5 પણ ફરીથી બ્લોક કરી દેવામાં આવ્યો છે. મંડી-પઠાણકોટ રોડ પણ બંધ છે. ગઈકાલે રાત્રે બિલાસપુરમાં 181 મીમી જ્યારે શિમલામાં 132 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે શિમલા સહિત અનેક જિલ્લાઓમાં પૂરના ભય વિશે પણ જણાવ્યું છે.
શિમલાના પોલીસ અધિક્ષક સંજીવ કુમાર ગાંધીએ જણાવ્યું હતું કે, ઝાલો નામના પરપ્રાંતિય અને તેની પત્ની રાજકુમારીના મૃતદેહ બાલદેયાન વિસ્તારમાં એક ઘરમાંથી મળી આવ્યા હતા. શિમલામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 26 થયો છે. તેમાંથી 17 લોકો સમર હિલ વિસ્તારમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે ફાગલીમાં પાંચ અને કૃષ્ણ નગરમાં બે લોકોના મોત થયા હતા. સોલન જિલ્લામાં ભૂસ્ખલનને કારણે કેટલાક મકાનોને પણ નુકસાન થયું છે. સોલન શહેરની સીમમાં આવેલા શાકલ ગામમાં કેટલાક ઘરોમાં પાણી ઘૂસી જતાં નુકસાન થયું હતું. ભૂસ્ખલન બાદ સબાથુ વિસ્તારમાં કેટલાક મકાનો અને વાહનોને પણ નુકસાન થયાના અહેવાલ છે.
બિયાસ નદી પાસેના સ્ટોન ક્રશર બંધ કરવાનો આદેશ
હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિન્દર સિંહ સુખુએ બિયાસ નદી બેસિન અને તેમની ઉપનદીઓની નાની નદીઓમાં, બારમાસી અને બિન-બારમાસી બંનેમાં સ્ટોન ક્રશરનો ઉપયોગ તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ચોમાસા દરમિયાન ઇકોલોજીમાં ચિંતાજનક ફેરફારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિયાસ નદીની ખીણ અને તેની ઉપનદીઓએ કુલ્લુ, મંડી કાંગડા અને હમીરપુર જિલ્લામાં ભારે વિનાશ સર્જ્યો હતો.




