ભાવનગર, તા.૨૯
રાજવી યુગમાં રેલ સેવામાં અગ્ર ક્રમે રહેલું ભાવનગર હાલ લોકશાહીમાં છેવાડે ધકેલાયેલું છે. ભાવનગરથી સુરત, ભાવનગરથી હરિદ્વાર, ભાવનગરથી સોમનાથ વિગેરે ટ્રેનો શરૂ કરવા વર્ષોથી લોક લાગણી અને માંગણી થતી રહે છે પરંતુ દરેક વખતે નિરાશા જ સાપડી છે. ત્યારે આખરે વર્ષોની માંગણી બાદ ભાવનગર-હરિદ્વાર વચ્ચે ટ્રેન દોડાવવા રેલ્વે બોર્ડે સૌપ્રથમ વખત નિર્ણય કર્યો છે. રેલ રાજ્ય મંત્રી અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોષે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ મારફત ભાવનગર-હરિદ્વાર ટ્રેન મંજૂર થયાની જાહેરાત કરી છે.
મંત્રી દર્શનાબેનની જાહેરાત મુજબ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભાવનગરના નાગરિકોને ભારતીય રેલવે દ્વારા ભેટ આપવામાં આવી છે. ભાવનગરથી હરિદ્વાર માટે તેની લાંબા સમયથી માંગ થઇ રહી હતી તે ટ્રેનને મંજૂર કરવામાં આવી છે. આ ટ્રેન ભાવનગરથી હરિદ્વાર માટે દર સોમવારે રવાના થશે અને બુધવારે સવારે હરિદ્વાર પહોંચશે. જ્યારે હરિદ્વારથી આ ટ્રેન બુધવારે ભાવનગર માટે રવાના થશે જે ભાવનગર ગુરૂવારે પહોંચશે. આમ ભાવનગર હરિદ્વાર વચ્ચે સપ્તાહમા એક વખત આ ટ્રેન સેવા રહેશે.
ભાવનગરથી હરિદ્વારની સ્પેશ્યલ ટ્રેન રહેશે, અમદાવાદવાળી લંબાવાશે નહીં
હાલ અમદાવાદથી હરિદ્વાર વચ્ચે દૈનિક ટ્રેન દોડે છે જે ભાવનગર લંબાવવાની ભુતકાળમાં વાત હતી પરંતુ રેલ્વે બોર્ડ દ્વારા ભાવનગરને અલગથી હરિદ્વાર માટે વિકલી ટ્રેન ફાળવવા વિચારણા થઇ હોવાનું જાણવા મળ્યું છે. આથી ભાવનગર હરિદ્વારની સ્પેશ્યલ ટ્રેન રહેશે જે અમદાવાદ સહિતના રૂટ પરથી જ ચાલશે.
ભાવનગર રેલ તંત્રને હજુ સત્તાવાર પરિપત્રની રાહ
ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી ટ્રેન મંજૂર થયાની રેલ્વે રાજ્ય મંત્રીએ જાહેરાત કરી છે પરંતુ ભાવનગર રેલ્વે ડિવીઝનને રેલ્વે બોર્ડ દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે જાણ કરાઇ નથી આથી ભાવનગર ડિવીઝનના અધિકારીઓ સત્તાવાર પત્રની રાહ જાેઇ રહ્યા છે. રેલ્વે બોર્ડ દ્વારા લેખિત જાણ કરાયા બાદ વિકલી ટ્રેનનું સમયપત્રક, ભાડા સહિતની વિગતો જાહેર કરાશે.