મણિપુરમાં ત્રણ મહિના વિતવા છતાં હજુ પણ હિંસાઓ અટકતી નથી. બિષ્ણુપુરામાં વિસ્ફોટ, ગોળીબાર અને અથડામણની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં ફરી ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. નારીનસેના ગામમાં 2 જૂથો વચ્ચે અથડામણ સર્જાતા ભારે તણાવ સર્જાયો છે.
પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં ગામની સુરક્ષામાં તૈનાત એક સ્વયંસેવકનું મોત થયું છે. તેઓ રાહત કેમ્પમાં રહેતા હતા. ત્યાં અચાનક બોંબ ફૂટ્યો હતો. જ્યારે ફાયરિંગમાં અન્ય વ્યક્તિને ગોળી વાગી છે, જેને હોસ્પિટલ લઈ જવાયો છે અને તેની હાલત સ્થિર છે. હાલ અહીં સુરક્ષા દળો સહિત પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવાયો છે. મામલો થાળે પાડવાના પણ તમામ પ્રયાસો થઈ રહ્યા છે.
આવી ઘટનાઓને રોકવા માટે સુરક્ષા દળ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આજે 4 આતંકવાદીઓને પકડી લેવાયા છે. આ આતંકવાદીઓ જુદા જુદા સંગઠનના હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ આતંકીઓ પાસેથી હથિયારો અને દારુગોળો જપ્ત કર્યો છે, જેમાં 6 હથિયારો, 5 કાર્ટેજ અને 2 વિસ્ફોટક સામેલ છે. પકડાયેલા આતંકવાદીઓ NSCN (આઈએમ) અને પીપુલ્સ લિબરેસન પાર્ટી (પીએલએ) વગેરે સંગઠનો સાથે સંકળાયેલા છે. આ લોકોને ઈમ્ફાલ પૂર્વ અને બિષ્ણુપુર જિલ્લામાંથી પકડવામાં આવ્યા છે. હાલ સુરક્ષા દળો દ્વારા અન્ય જિલ્લાઓમાં પણ શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે.