ચંદ્રયાન-3ની સફળતા પછી ઈન્ડિયન સ્પેસ રિચર્ચ ઓર્ગેનાઈઝેશન અને ભારતે સૂર્ય તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.આદિત્ય-એલ1ના લોન્ચ પહેલા ઈસરોના વડા એસ સોમનાથે તમિલનાડુના સુલ્લુરપેટામાં શ્રી ચેંગલમ્મા પરમેશ્વરી મંદિરમાં પ્રાર્થના કરી હતી.ઈસરોના વૈજ્ઞાનિકોની એક ટીમ આદિત્ય-L1 મિશનના મિની મોડલ સાથે તિરુમાલા શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચી હતી.
આ મિશન અંગે ઈસરોએ કહ્યું કે આદિત્ય-એલ1 તે લોન્ચ થયાના બરાબર 127 દિવસમાં તેના પોઈન્ટ L1 પર પહોંચી જશે. આ મિશન હવામાનની ગતિશીલતા, સૂર્યનું તાપમાન, પૃથ્વી પર અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર અને ઓઝોન સ્તરનો અભ્યાસ કરશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, સૂર્યનો અભ્યાસ કરીને હવામાનની આગાહીની સચોટતામાં પણ વધારો થશે. આનાથી એવી સિસ્ટમ બનાવવામાં મદદ મળશે, જેના દ્વારા વાવાઝોડાની જાણકારી તરત જ મળી જશે અને એલર્ટ જારી કરી શકાશે. સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT), આદિત્ય L1 મિશન માટેનું મુખ્ય સાધન પુણે સ્થિત ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
આ ભારતનું પ્રથમ સૂર્ય મિશન હશે. આદિત્ય-L1 અવકાશયાન સૂર્યના કોરોનાના દૂરસ્થ અવલોકનો માટે અને L1 (સૂર્ય-અર્થ લેગ્રેંજિયન બિંદુ) પર સૌર પવનનો વાસ્તવિક અભ્યાસ કરવા માટે બનાવાયો છે. આ સ્થળ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે. આ મિશનને લેગ્રાંગિયન પોઈન્ટ-1 (L1) સુધી પહોંચવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગશે. લેગ્રાંગિયન પોઈન્ટ-1 એ એવી જગ્યા છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સમાન છે.






