અમદાવાદમાં લૂંટારુઓ બેફામ બન્યા છે. શહેરમાં ધોળા દિવસે થયેલી લૂંટે વેપારી આલમમાં ચકચાર જગાવી દીધી છે. નારણપુરામાં વેપારી પાસેથી સાત લાખ રૂપિયા લૂંટીને લૂંટારુઓ સ્કૂટર પર ફરાર થઈ ગયા હતા. નારણપુરામાં વિજયનગર પેટ્રોલ પમ્પ પાસે લૂંટની આ ઘટના બની હતી.
વેપારી પાસે સાત લાખ રૂપિયા રોકડા હતા. લૂંટારુઓ છેક મિરઝાપુરથી વેપારીનો પીછો કરતા હતા અને નારણપુરામાં છેવટે વિજયનગર ખાતેના પેટ્રોલ પમ્પ પાસે વેપારીને અટકાવ્યો હતો. તેની પાસેથી છરીને અણીએ સાત લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. જો કે વેપારીએ ગુનેગારોનો પ્રતિકાર કરવાના બદલે તેને રૂપિયા આપી દેતા તેનો જીવ બચી ગયો હતો. શહેરમાં ધોળા દિવસે લૂંટના બનાવના પગલે પોલીસમાં પણ હડકંપ મચી ગયો છે. પોલીસે તરત જ ઘટનાની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ રોકડ રૂપિયા લઈને જનારા વેપારી પાસેથી ગુનેગારોની વિગતો મેળવવા ઉપરાંત નારણપુરાના આસપાસના રસ્તાના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે. પોલીસે વેપારી પાસેથી ગુનેગારોની ઊંચાઈ અંગે વર્ણન મેળવ્યું છે. તેની સાથે દરેક પોલીસ નાકાને આ અંગે સાવધ કરી દેવાયા છે. પણ ધોળા દિવસે બનેલા બનાવના સમાચાર ફેલાવવાના પગલે વેપારી આલમમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. વેપારીઓમાં ચિંતા બેઠી છે કે દરેક વેપારી તેની પાસેથી કેટલાય રૂપિયાનો માલસામાન લઈ અવરજવર કરતો હોય છે. આ સંજોગોમાં આ રીતે જો ધોળા દિવસે લૂંટફાટ થવા માંડશે તો પછી તેમની સલામતીનું શું થશે. સલામતી અને સુરક્ષા વગર કારોબાર પણ કેવી રીતે કરી શકાશે. પોલીસે વેપારી આલમને ત્વરિત પગલા લઈને તપાસ કરીને આરોપીઓને ઝડપવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું છે.


