જન્માષ્ટમી સાથે તહેવારોની સીઝન શરૂ થઈ છે. આવતા પખવાડીયામાં ગણેશ મહોત્સવ શરૂ થશે ત્યારે મુંબઈનાં સૌથી ધનવાન ગણાતા કિંગ સર્કલ સ્થિત જીએસબી સેવા મહોત્સવના ગણેશોત્સવના આયોજકોએ રેકોર્ડબ્રેક 360 કરોડનો વીમો ઉતરાવ્યો છે. ગત વર્ષે 316 કરોડનો વીમો ઉતારાયો હતો વીમા પેટે ચુકવેલા પ્રિમીયમની રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
તહેવારોની સીઝનમાં મેળા સહીતના કાર્યક્રમોના આયોજકો દ્વારા વીમો લેવામાં આવતો હોય છે મુંબઈમાં વિવિધ ગણપતી મંડળો દ્વારા જંગી રકમનો વીમો ઉતરાવવામાં આવતો હોય છે. મુંબઈ જીએસબી સેવા મંડળના સુત્રોએ કહ્યું કે, સોનાના ભાવનાં વધારાને પગલે વીમાનું કવચ વધારવામાં આવ્યું છે. ભગવાન ગણપતિજીની પ્રતિમાને મોટી માત્રામાં સોનુ ચડાવવામાં આવતું હોય છે. જીએસબી સેવા મંડળનાં ગણપતિજીને 66 કિલો સોનાના દાગીના તથા 295 કિલો ચાંદીનાં દાગીનાં ચડાવવામાં આવતા હોય છે.





