એશિયા કપ સુપર-4 રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ કોલંબોના આર પ્રેમદાસા ગ્રાઉન્ડ પર રમાશે. ગ્રૂપ સ્ટેજમાં બંને ટીમો વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, પરંતુ સુપર-4માં વરસાદના કિસ્સામાં તેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 266 રન બનાવ્યા હતા, પરંતુ આ મેચમાં વરસાદના કારણે પાકિસ્તાન બેટિંગ કરી શક્યું ન હતું. આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. ચાલો જાણીએ કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ કોલંબોમાં કેવું પ્રદર્શન કર્યું.
વિરાટ કોહલીનું પ્રદર્શન
વિરાટ કોહલીએ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં 8 મેચ રમી છે અને 519 રન બનાવ્યા છે. કોહલીએ આ મેદાન પર 3 સદી ફટકારી છે અને અહીં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 131 રન છે. ભારતીય ચાહકો ઈચ્છશે કે તે ફરી એકવાર અહીં મોટી ઈનિંગ્સ રમે અને ટીમ ઈન્ડિયાને જીત તરફ લઈ જાય.
રોહિત શર્માનું પ્રદર્શન
રોહિત શર્મા એશિયા કપ 2003ના ગ્રુપ સ્ટેજની મેચમાં પાકિસ્તાન સામે સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. રોહિતે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં 9 મેચ રમી છે અને 196 રન બનાવ્યા છે, જેમાં એક સદી સામેલ છે. તેણે વર્ષ 2017માં શ્રીલંકા સામે 104 રનની ઇનિંગ રમી હતી. રોહિત-વિરાટની ગણતરી ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. આ બંને ખેલાડીઓએ પોતાના દમ પર ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો જીતી છે. આ બંને ખેલાડીઓ ભારતીય બેટિંગ ક્રમમાં મહત્વપૂર્ણ કડી છે.
મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો
એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગ્રુપ સ્ટેજની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. હવે બંને ટીમ સુપર-4માં ટક્કર માટે તૈયાર છે. બંને ટીમો પાસે સ્ટાર ખેલાડીઓની ફોજ છે, જે થોડા જ બોલમાં મેચનો માર્ગ બદલી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. મેચમાં વરસાદની 90 ટકા સંભાવના છે અને ઘનઘોર વાદળો આવવાની સંભાવના છે.