લોકસભાની ચૂંટણીને લઇને રાજકિય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.ગુજરાતમાં કોંગ્રેસે પણ ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસે રાજયની લોકસભાની 26 બેઠકો માટે રોડમેપ તૈયાર કર્યો છે. ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વસનીકના ગુજરાતની મુલાકાત બાદ કોંગ્રેસે ત્રણ મોટા નેતાઓને જુદી જુદી બેઠકની જવાબદારી સોંપી છે. AICC મંત્રી રામકિશન ઓઝા, બી.એમ. સંદીપ અને ઉષા નાયડુને ગુજરાતની લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.
રામકિશન ઓઝાને અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ (એસ.સી.), ખેડા, આણંદ,ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા.
બી.એમ. સંદીપને ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છ (એસ.સી.). ઉષા નાયડુને પંચમહાલ,દાહોદ (એસ.ટી.),વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી (એસ.ટી.), નવસારી, સુરત, વલસાડ (એસ.ટી.) લોકસભાની બેઠકની જવાબદારી સોંપાઇ છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે કોંગ્રેસ 26 પક્ષો સાથે મળીને india ગઠબંધન કર્યું છે. જેને લઇને ઇન્ડિયાની આગામી બેઠક દિલ્હી ખાતે યોજાવવાની છે. વિપક્ષી ગઠબંધન ‘india’ની 14 સભ્યોની સંકલન સમિતિની પ્રથમ બેઠક 13 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાશે. ગઠબંધનના નેતાઓએ રવિવારે આ માહિતી આપી હતી.તેમણે કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારના નિવાસસ્થાને યોજાનારી આ બેઠકમાં ગઠબંધનની રણનીતિ અને ભાવિ કાર્યક્રમો તૈયાર કરવામાં આવશે. આગામી લોકસભા ચૂંટણી – 2024 માં ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) નો સામનો કરવા માટે બે ડઝનથી વધુ વિપક્ષી પક્ષો ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી જોડાણ (india) ની રચના કરવા માટે એકસાથે આવ્યા છે.મુંબઈમાં ‘india’ના ઘટક પક્ષોના નેતાઓની તાજેતરમાં મળેલી બેઠકમાં ગઠબંધનના ભાવિ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા માટે 14 સભ્યોની સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી. સંકલન સમિતિ વિપક્ષી ગઠબંધનની ટોચની નિર્ણય લેતી સંસ્થા તરીકે કામ કરશે.



