જામનગર મહાનગરપાલિકાના મેયર-ડેપ્યુટી મેયર -સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની આજે વરણી કરવામાં આવી છે, જેમાં મેયર તરીકે વિનોદભાઈ ખીમસુરીયા ડેપ્યુટી મેયર પદે ક્રિષ્નાબેન સોઢા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિલેશ કગથરાની વરણી કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતા આશિષ જોશી અને દંડક તરીકે કેતન નાખવાની વરણી કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકામાં આજે વર્તમાન મેયર-ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ટર્મ પૂરી થતી હોવાથી શાષક જૂથ ભારતીય જનતા પાર્ટી દ્વારા અઢી વર્ષ માટેના નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં એસ.સી. અનામત તરીકે મેયર પદના વિનોદભાઈ નાથાભાઈ ખીમસુરીયાની પસંદગી કરવામાં આવી છે. અને
આ ઉપરાંત ડેપ્યુટી મેયરનું પદ મહિલા ઉમેદવારને આપવાનું પાર્ટી દ્વારા નક્કી કરાયું હોવાથી ક્રિષ્નાબેન કમલેશભાઈ સોઢાની નિમણુક કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે અનેક નામોની અટકળો ચાલ્યા પછી છેલ્લી ઘડીએ વોર્ડ નંબર નવના કોર્પોરેટર નિલેશભાઈ કગથરાની વરણી કરવામાં આવી છે.

વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર આશિષ મનુભાઈ જોશીની શાસક જૂથના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે, જ્યારે વોર્ડ નંબર ૧૩ ના કોર્પોરેટર કેતનભાઇ જયંતીલાલ નાખવાની દંડક તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જે તમામ નવનિયુક્ત હોદ્દેદારોને પાર્ટીના અગ્રણી હોદ્દેદારો દ્વારા ફુલહાર પહેરાવી મોં મીઠા કરવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં સૌપ્રથમ આ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ચેમ્બર હોલમાં મળનારી મિટિંગમાં સમગ્ર હોદ્દેદારોની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી






