દેશમાં કોરોના વાયરસ બાદ નિપાહ વાયરસની એન્ટ્રીએ લોકોને ડરાવી દીધા છે. કેરળમાં નિપાહ વાયરસના કેસ મળવાની સાથે જ મેડિકલ સંસ્થાઓએ ચેતાવણી જાહેર કરવાની શરૂ કરી દીધી છે. આ વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું છે કે નિપાહ વાયરસ કોરોના કરતા ખૂબ વધારે ખતરનાક છે.
નિપાહથી સંક્રમણમાં મૃત્યુ દર 40થી 70 ટકા છે. જ્યારે કોરોનાના 2થી 3 ટકા છે. આ કોરોના વાયરસના કારણે થયેલા પહેલા મૃત્યુ કરતા ખૂબ વધારે છે. કેરળમાં હાલ નિપાહ વાયરસના 6 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 2 લોકોના મોત થઈ ચુક્યા છે. કોઝિકોડ જિલ્લામાં 24 સપ્ટેમ્બર સુધી દરેક શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ICMRના ડાયરેક્ટર રાજીવ બહલે કહ્યું કે કેરળમાં નિપાહ વાયરસને ફેલાતો અટકાવવા માટે બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, “બધા દર્દી એક સંક્રમિત દર્દીના સંપર્કમાં છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો વાળી એક કેન્દ્રીય ટીમ પણ સ્થિતિની તપાસ કરવા અને ઉપચારાત્મક ઉપાય જણાવવા માટે કોઝિકોડ જિલ્લામાં પહોંચી ગઈ છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ હેઠળ 1000થી વધારે લોકોની જાણકારી મેળવવામાં આવી છે.”





