કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. તેમણે મંગળવારે કહ્યું કે આતંકીની હત્યા ભારતે કરી છે. હવે ભારત અને કેનેડામાં ડિપ્લોમેટિક સ્તરે લડાઈ શરૂ થઈ ગઈ છે. ભારતની નીતિ રહી છે કે તે વિદેશમાં થઈ રહેલી કોઈ પણ ગતિવિધિને લઈને કડક પગલું ભરતું નથી. તે સ્થાનિક સરકારોને કાર્યવાહી કરવાનું કહે છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ પોતાના ખાલિસ્તાન પ્રેમના પગલે આ નિવેદન આપ્યું છે. જેના કારણે બે દેશો વચ્ચે દાયકાઓથી ચાલી રહેલા મૈત્રીપૂર્ણ સંબંધો પ્રભાવિત થયા છે.
કેનેડાએ એવો દાવો કર્યો કે જેના કારણે તેના ભારત સાથેના સંબંધ પ્રભાવિત થયા. કેનેડા ઈચ્છતું હતું કે અમેરિકા સહિત તેના નીકટના સહયોગીઓ સાથે આવે અને ભારતની ટીકા કરે. વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટ મુજબ જસ્ટિન ટ્રુડોની આ કોશિશ સફળ થઈ શકી નહીં. કારણ કે અનેક દેશોએ આ માંગણીથી પોતાના હાથ પાછા ખેંચી લીધા.
એક પશ્ચિમી અધિકારીના હવાલે કહેવાયું કે આ વર્ષ જૂનમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલાને ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, યુનાઈટેડ કિંગડમ, અને અમેરિકાના અનેક સીનિયર ઈન્ટેલિજન્સ અધિકારીઓએ ઉઠાવ્યો હતો. સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં દિલ્હીમાં યોજાયેલી મેગા જી20 સમિટમાં આ મામલાને જાહેર રીતે ઉઠાવાયો નહીં. જસ્ટિન ટ્રુડોએ એવો દાવો કર્યો હતો કે તેમણે પીએમ મોદી સમક્ષ પણ આ મુદ્દાને ઉઠાવવાની કોશિશ કરી હતી.
શિખર સંમેલનના સમાપનના અઠવાડિયા બાદ કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર એક ગંભીર આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કેનેડાની ધરતી પર એક કેનેડિયન નાગરિકની હત્યા ભારતે કરી છે. કેનેડાના સહયોગીઓએ ભારત સાથે પોતાના સંબંધો સાચવવા માટે કેનેડાના નિવેદનથી અંતર જાળવ્યું છે. અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ જસ્ટિન ટ્રુડો દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર ચિંતા તો વ્યક્ત કરી પરંતુ તપાસ પૂરી થતા પહેલા કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું.
વ્હાઈટ હાઉસે કહ્યું કે અમે અમારા કેનેડિયન ભાગીદારોની સાથે નિયમિત સંપર્કમાં રહીએ છીએ. એ મહત્વપૂર્ણ છે કે કેનેડાની તપાસ આગળ વધે, અને અપરાધીઓને ન્યાયના ઘેરામાં લાવવામાંઆવે. લંડનમાં બ્રિટન સરકારના પ્રવક્તાએ કહ્યું કે અમે આ ગંભીર આરોપો વિશે અમારા કેનેડિયન સહયોગીઓ સાથે સંપર્કમાં છીએ. કેનેડિયન અધિકારીઓ દ્વારા ચાલી રહેલી તપાસ દરમિયાન ટિપ્પણી કરવી એ અયોગ્ય રહેશે. ભારત સાથે વેપારવાર્તા પહેલાની જેમ ચાલુ રહેશે. ઓસ્ટ્રેલિયન વિદેશ મંત્રી પેની વોંગના પ્રવક્તાએ ક હ્યું કે કેનબરા કેનેડા દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર ચિંતિત છે. પ્રવક્તાએ કહ્યું કે અમે સિનિયર સ્તર પર ભારતને અમારી ચિંતાઓથી અવગત કરાવી દીધુ છે.




