ભારતીય વાયુસેનાનું પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બુધવારે વડોદરાના એરફોર્સ સ્ટેશન પર લેન્ડ થયું. આ વિમાનને ગ્રુપ કેપ્ટન પીએસ નેગી ઉડાવી રહ્યા હતા. આ પહેલા આ પ્લેનને બહેરીનમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. ત્યાંથી તે વડોદરા પહોંચ્યું હતું. IAF અધિકારીઓએ જણાવ્યું કે રક્ષામંત્રી રાજનાથ સિંહ 25 સપ્ટેમ્બરે દિલ્હી નજીક હિંડન એરબેઝ પર આયોજિત એક સમારોહમાં ઔપચારિક રીતે એરક્રાફ્ટને ભારતીય વાયુસેનામાં સામેલ કરશે. કુલ 56 એરક્રાફ્ટને IAFમાં સામેલ કરવામાં આવશે અને તેમાંથી 40નું નિર્માણ ટાટા-એરબસ જોઈન્ટ વેન્ટર્ચર દ્વારા ભારતમાં કરવામાં આવશે.
આ પહેલા ભારતીય વાયુસેનાનું પ્રથમ C-295 પરિવહન વિમાન ગયા શનિવારે એટલે કે 16 સપ્ટેમ્બરે સ્પેનથી ભારત માટે રવાના થયું હતું. આ પછી પ્લેન માલ્ટા, ઈજિપ્ત અને બહેરીનમાં રોકાઈને વડોદરા પહોંચ્યું હતું. એર ચીફ માર્શલ વી.આર ચૌધરીએ આ એરક્રાફ્ટનું સ્વાગત કર્યું હતું.
ભારતે સપ્ટેમ્બર 2021માં 56 C-295 લશ્કરી પરિવહન વિમાનોના સપ્લાય માટે એરબસ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર મુજબ, વડોદરામાં એરબસની સાથે ભાગીદારીમાં ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા સ્થાપવામાં આવેલા પ્લાન્ટમાં 40 એરક્રાફ્ટ બનાવવામાં આવશે. ગયા વર્ષે ઓક્ટોબરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં 295 એરક્રાફ્ટની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનો શિલાન્યાસ કર્યો હતો. ખાનગી કન્સોર્ટિયમ દ્વારા ભારતમાં બનાવવામાં આવનાર આ પહેલું લશ્કરી વિમાન હશે.
શું છે વિમાનની ખાસિયત
– બે વર્ષ પહેલા એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની સાથે રૂ.21,935 કરોડમાં 56 C295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવાનો સોદો થયો હતો.
– C-295 સૈન્ય અને રાહત કાર્ય માટે ભરોસાપાત્ર વિમાન માનવામાં આવે છે અને તે એક સમયે 71 સૈનિકો અથવા 50 પેરાટ્રૂપર્સને લઈ જઈ શકે છે. આ એરક્રાફ્ટ 9250 કિગ્રા વજન ઉપાડવામાં સક્ષમ છે.
– આ વિમાન 844 મીટરના રનવે પરથી પણ ઉડાન ભરી શકે છે. આ એરક્રાફ્ટને લેન્ડ કરવા માટે માત્ર 420 મીટર લાંબો રનવે જરૂરી છે.
– આ એરક્રાફ્ટને હવામાં જ રિફ્યુઅલ કરી શકાય છે. પર્વતીય વિસ્તારોમાં પણ સી-295 એરક્રાફ્ટને સરળતાથી લેન્ડ કરી શકાય છે.
– વિમાનમાં બે એન્જિન છે અને વિમાન 482 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.
– C-295 એરક્રાફ્ટ એક ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે, જે નવ ટનના પેલોડ સાથે 71 સૈનિકોને લઈ જવા માટે સક્ષમ છે



