ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ સોમવારે કહ્યું કે, હૈદરાબાદમાં 29 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનારી ICC વર્લ્ડ કપ 2023ની પ્રેક્ટિસ મેચ ચાહકો વિના રમાશે. BCCI નું કહેવું છે કે, આ પગલું સ્થાનિક સુરક્ષા એજન્સીઓની સલાહ પર લેવામાં આવ્યું છે.
હૈદરાબાદમાં રમાનારી આ મેચના એક દિવસ પહેલા ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદ-ઉન-નબીનો તહેવાર છે. આ સમય દરમિયાન, શહેરના ઘણા વિસ્તારોમાં લોકોની મોટી ભીડ એકત્ર થવાની સંભાવના છે. BCCI અનુસાર, 29 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં યોજાનારી ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023ની પ્રેક્ટિસ મેચ હવે સ્થાનિક સુરક્ષા એજન્સીઓની સલાહ મુજબ બંધ દરવાજા પાછળ યોજાશે. બોર્ડના નિવેદન મુજબ હૈદરાબાદમાં યોજાનારી મેચની તારીખ તહેવારો સાથે ટકરાઈ રહી છે અને આવી સ્થિતિમાં શહેરમાં વિવિધ સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થવાની સંભાવના છે. BCCIએ કહ્યું કે, આ મેચની ટિકિટ ધારકોને સંપૂર્ણ રકમ પરત કરવામાં આવશે. શહેર પોલીસે અગાઉ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)ને મેચની તારીખો બદલવા માટે કહ્યું હતું, પરંતુ BCCIએ સ્પષ્ટ કર્યું હતું કે શેડ્યૂલને વારંવાર બદલી શકાય નહીં. આ એક પ્રેક્ટિસ મેચ છે, તેથી BCCI અને HCA એ વાત પર સહમત થયા કે મેચ દર્શકો વગર રમાશે.