દેશમાં વધી રહેલી આપઘાતની ઘટનાને પગલે શિક્ષણ મંત્રાલયે સ્કુલો માટે એક આપઘાત નિવારણ ગાઈડલાઈન જાહેર કરી છે, જેનો ઉદ્દેશ્ય બાળકોની સલામતીનો છે અને તે માટે ‘એવરી ચાઈલ્ડ મેટર’ સુત્ર રાખવામાં આવ્યું છે.
શિક્ષણ મંત્રાલયે જાહેર કરેલી ગાઈડલાઈન અંતર્ગત સ્કુલોમાં વેલનેસ ટીમોને સેટઅપ કરવામાં આવશે, તેમજ ઘણા નિયમોનું પણ પાલન કરવામાં આવશે. આ ગાઈડલાઈનનું ટાઈટલ ઉમ્મીદ રાખવામાં આવ્યું છે, જેમાં દરેક અક્ષરનો અલગ-અલગ અર્થ છે. સ્કુલોને કોઈપણ પરિસ્થિતિ પ્રત્યે સંવેદનશીલ રહેવા, સમજદાર બનવા અને સ્વ-નુકસાનના કેસોને સમજવા અને શક્ય તેટલી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત વેલનેસ સેન્ટર પણ બનાવવામાં આવશે.
આ અંતર્ગત સ્કુલોને કહેવામાં આવ્યું છે કે જો કોઈ બાળકમાં વોર્નિંગના સંકેતો જોવા મળે તો તેઓ તેના પર તરત જ કાર્યવાહી કરે. જોખમના પરિબળોને જુઓ અને આપઘાત વિશે ફેલાયેલી અફવાઓને દૂર કરો. વિદ્યાર્થીઓની આ સમસ્યાને લગતા દરેક પ્રશ્નોના જવાબ આપો. આ ઉપરાંત ગાઈડલાઈનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આપઘાતને અટકાવવું એક સામૂહિક પગલું છે જે સ્કુલ, માતા-પિતા અને કોમ્યુનિટીએ સાથે મળીને લેવામાં આવે છે. આ અંતર્ગત બાળકોની ફીલિંગ્સને સમજવી પડશે, તેમની ક્રિયાઓ અને વ્યવહારને નિરીક્ષણ કરીને અને કંઈક શંકાસ્પદ દેખાય તો તેના પર પગલાં લેવા જેવી બાબતો સામેલ છે.
આ ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસ કેમ થઈ રહ્યો છે તેની જણકારી મેળવો જેમકે તેઓ શૈક્ષણિક દબાણ હેઠળ તો નથી ને, તેઓને કુંટુંબ, મિત્રો કે કોઈપણ દ્વારા દાદાગીરી કરતા નથી ને, તેમની નજીકના કોઈનું મૃત્યું તો થયું નથી ને, તેઓ સ્પાર્ધાત્મક પરીક્ષાઓમાં સારો દેખાવ કરવા માટે પ્રેશરમાં તો નથી ને વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે.