ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે એર ઈન્ડીયાએ ઈઝરાઈલ જનારી તેની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ 14 ઓક્ટોબર 2023 સુધી ઈઝરાઈલમાં એર ઈન્ડીયાની એક પણ ફ્લાઈટ ઓપરેટ નહીં થાય. એરલાઈન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેલ અવીવથી આવતી-જતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. અમારા મુસાફરો અને ક્રૂની સલામતી માટે, અમારી ફ્લાઇટ્સ આજદિન સુધી સ્થગિત રહેશે.
કંપનીના પ્રવક્તાએ એમ પણ કહ્યું હતું કે 14 ઓક્ટોબર 2023 સુધીના સમયગાળા માટે જે લોકોએ રિઝર્વેશન કરાવ્યું છે તેમની મદદ માટેના શક્ય હોય તેટલા પ્રયાસો કરાશે. એર ઇન્ડિયા અઠવાડિયામાં દર પાંચ દિવસે દિલ્હીથી તેલ અવીવની પાંચ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. દિલ્હીથી તેલ અવીવની ફ્લાઇટ્સનું સંચાલન સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે કરવામાં આવે છે. તેલ અવીવથી ઇથોપિયન એરલાઇન્સની ફ્લાઇટમાં ભારત આવી રહેલા એર ઇન્ડિયાના કેબિન ક્રૂ અને પાઇલટની તસવીર પણ સામે આવી છે. શનિવારે દિલ્હીથી તેલ અવીવ જતી ફ્લાઇટ એઆઇ139 અને રિટર્ન ફ્લાઇટ એઆઇ140 પણ રદ કરવામાં આવી હતી.