ક્રિકેટ વર્લ્ડ કપ 5 ઓક્ટોબર શરૂ થઈ ગયો છે. ભારત આ વખતે વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારત સહિત સમગ્ર વિશ્વના લોકો માટે 14 ઓક્ટોબર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. ભારત પાકિસ્તાન મેચના ચાહકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હોટેલ બુકિંગથી લઈને ટ્રેન અને ફ્લાઈટ ટિકિટનું બુકિંગ અગાઉથી થઈ ગયું છે. સ્થિતિ એવી છે કે હવે લોકોને આ દિવસે ટિકિટ નથી મળી રહી.
ભારત-પાકિસ્તાન મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રમાનારી મેચને પગલે પ્રવાસીઓનો ધસારો પણ વધ્યો છે. દિલ્હી, ચેન્નાઈ અને બેંગલુરુની ટ્રેનોમાં વેઈટિંગ ચાલી રહ્યું છે, તો કોલકાતા અને મુંબઈથી આવતી ટ્રેનોમાં પણ વેઈટિંગ છે. વંદે ભારત ટ્રેનમાં 170થી વધુનું વેઈટિંગ જોવા મળી રહ્યું છે. 13 અને 14 ઓક્ટોબરની ટ્રેનોમાં ફૂલ વેઈટિંગ જોવા મળી રહ્યું છે. પ્રવાસીઓની ભીડ વધશે તો રેલ વિભાગ એકસ્ટ્રા કોચ લગાવી શકે છે.
રેલવે 14મી ઓક્ટોબરે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી અમદાવાદ માટે સ્પેશિયલ વંદે ભારત ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેથી આ શાનદાર મેચની આતુરતાથી રાહ જોઈ રહેલા ચાહકો કોઈપણ સમસ્યા વિના આ મેચને લાઈવ જોઈ શકે. તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ માટે ટિકિટ મેળવવી ઘણી મુશ્કેલ છે. એટલું જ નહીં હોટલ, ગેસ્ટ હાઉસ તેમજ ટ્રેન અને ફ્લાઇટની ટિકિટ બુક કરાવવા માટે ઘણી રાહ જોવી પડે છે, આવી સ્થિતિમાં રેલવેના આ નિર્ણયથી ક્રિકેટપ્રેમીઓને મોટી રાહત મળી છે.
રેલ્વેના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, આ સ્પેશિયલ ટ્રેનનો સમય ખૂબ જ ખાસ છે, કારણ કે તે એવી રીતે નક્કી કરવામાં આવ્યો છે કે દર્શકો મેચ શરૂ થવાના થોડા કલાક પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચી શકે, જ્યારે મેચ ખતમ થયા પછી તેઓ સરળતાથી ઘરે પાછા જઈ શકે છે. આ ટ્રેન મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી અમદાવાદ સુધી દોડાવવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે.