બિહારના બક્સર જિલ્લામાં બુધવારે રાત્રે દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી ગુવાહાટીના કામાખ્યા સ્ટેશન તરફ જતી નોર્થ-ઈસ્ટ એક્સપ્રેસ બક્સર જિલ્લાના રઘુનાથપુર રેલવે સ્ટેશન પાસે રાત્રે 9.35 વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને 4 લોકોના મોત થયા હતા.
અકસ્માતમાં ઘાયલ થયેલા લગભગ 100 લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી 20 લોકો ગંભીર રીતે ઘાયલ છે અને તેમને સારવાર માટે પટના એઈમ્સમાં રિફર કરવામાં આવ્યા છે. આથી મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે. બક્સરના ડીએમ અંશુલ અગ્રવાલે જણાવ્યું કે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને પટના રિફર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ઘાયલોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ અકસ્માત પાછળનું કારણ બહાર આવ્યું નથી.
તેજસ્વી યાદવની ઓફિસથી કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે સબ-ડિવિઝનલ હોસ્પિટલ જગદીશપુર અને શાહપુર હોસ્પિટલ ભોજપુરના મેડિકલ ઓફિસર અને અન્ય આરોગ્ય કર્મચારીઓ બચાવ અને રાહત કાર્ય માટે તૈયાર છે. રોહતાસ, બક્સર અને ભોજપુર જિલ્લામાંથી એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ઘાયલોની પણ આરા સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.