હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના અલગ-અલગ શહેરોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાનું કામ શરૂ થઈ ગયું છે. આ માટે ભારત સરકારે ‘ઓપરેશન અજય’ શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતર્ગત ઈઝરાયેલ એરપોર્ટથી 235 ભારતીયોને લઈને બીજી ફ્લાઈટ દિલ્હી પહોંચી છે. આ ફ્લાઈટમાં 235 મુસાફરોને લઈને એર ઈન્ડિયાનું વિમાન શનિવારે સવારે લગભગ 6 વાગ્યે દિલ્હી પહોંચ્યું છે. વિદેશ રાજ્ય મંત્રી રાજકુમાર રંજન સિંહ ઈઝરાયેલમાંથી આવેલા ભારતીય નાગરિકોને રિસીવ કરવા એરપોર્ટ પર હાજર રહ્યા છે.
ઓપરેશન અજય હેઠળ ભારત આવતી ફ્લાઈટમાં ચઢવા માટે ઈઝરાયેલના તેલ અવીવ એરપોર્ટ પર લોકોની ભીડ જોવા મળે છે. પરત ફરનારાઓમાં સૌથી વધુ સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ છે. 7 ઓક્ટોબરે યુદ્ધ શરૂ થયા પછી, એર ઇન્ડિયાએ તાત્કાલિક અસરથી ઇઝરાયેલથી તેની તમામ ફ્લાઇટ્સ બંધ કરી દીધી હતી, જેના કારણે ઘણા ભારતીય નાગરિકો ઇઝરાયેલમાં અટવાઇ ગયા હતા, જેમને ભારત પરત આવવું હતું, સૌથી મહત્વની વાત એ છે કે ઓપરેશન અજય હેઠળ ભારત સરકાર ઈઝરાયેલથી જે લોકોને લાવી રહી છે તેમની પાસેથી કોઈપણ પ્રકારનું ભાડું લેવામાં આવી રહ્યું નથી. ઈઝરાયેલમાં લગભગ 18 હજાર ભારતીય મૂળના લોકો રહે છે.