ગુજરાતનો ગરબો છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ બન્યો છે, દેશમાં વિસ્તરીને તે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય બન્યો છે. હવે ગુજરાતનું ગરબા નૃત્ય એટલે કે ગરબા રાસને યુનેસ્કોના ઈંટેજિબલ કલ્ચરલ હેરિટેઝ ઓફ હ્યુમેનીટી તરીકે નામાંકન માટે મોકલાયો છે, આ વર્ષે જ ફેસલો થઈ જશે.
હાલ દેશમાં નવરાત્રિ પર્વ શરૂ થઈ ગયું છે ત્યારે ભારતમાં ગુજરાતના ગરબા નૃત્યને-રાસને પણ યુનેસ્કોને વિશ્વની ઈન્ટેજીબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમેનીટી તરીકે નામાંકન માટે મોકલાયું છે, જે આ વૈશ્વિક સંસ્થાની પ્રક્રિયા મુજબ નામાંકન માટે વિચારાધીન છે. 2023ના અંત સુધીમાં યોજાનારી બેઠકમાં તેનું અનુમોદન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાત અને નજીકના ક્ષેત્રો સહિત અમેરિકા અને અન્ય દેશોમાં ગરબા-રાસનું આયોજન આખી રાત ચાલતું હોય છે. જેમાં ખાસ કરીને મહિલાઓ અને પુરુષો રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી સાજ-સજજા અને જોમ જુસ્સાથી સામેલ થતા હોય છે.
દેશમાં હાલ 42 મૂર્ત વર્લ્ડ હેરિટેજ સાઈટસ છે. જેમકે લાલ કિલ્લા, કુતુબ મિનાર, તાજમહલ, બોધગયા, કોણાર્ક મંદિર, ખજુરાહો, અજંતા-ઈલોરા વગેરે મહત્વની વાત એ છે કે હાલમાં સપ્ટેમ્બરમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરના બનાવેલા શાંતિ નિકેતનને પણ વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સામેલ કરાયું છે.
ઉલ્લેખનીય છે કે, યુનેસ્કોએ વર્ષ 2021માં દુનિયાની ઈન્ટેજીબલ કે અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર દુર્ગાપૂજાને જાહેર કરી હતી જે યુનેસ્કો દ્વારા સૂચિબદ્ધ 14મી ઈન્ટેજીબલ હેરિટેજ છે. ભારતમાંથી આ ઉપરાંત રામલીલા, યોગ, વૈદિક મંત્રોચ્ચાર, લદાખના બૌદ્ધ મંત્રોચ્ચાર, છોઉ નૃત્ય વગેરે યુનેસ્કો હેરિટેજમાં સામેલ છે. હવે ગુજરાતનો ગરબો પણ યુનેસ્કો હેરિટેજમાં સામેલ થઈ શકે છે.