ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન પારિતોષિક સમારંભના નામે વિદ્યાર્થીઓને ભીખ આપતા હોય તેમ ડિગ્રી આપવામાં આવતા વિદ્યાર્થીઓમાં આક્રોશ ચરમસીમાએ છે. ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સાથે રીતસરના ભીખારી હોય તે પ્રકારનું વર્તન કરતા તેમને ડિગ્રીઓ આપવામાં આવી હતી. સમગ્ર સમારંભમાં સલામતીના નામે ગેરવ્યવસ્થા ઉડીને આંખે વળગતી હતી. વિદ્યાર્થીઓ જાણે આતંકવાદી હોય તે રીતે તેમની સાથે વર્તણૂક કરવામાં આવી હતી.
ગુજરાત વિદ્યાર્થીઓનો 69મો પદવીદાન સમારંભ કેટલીય જૂની વ્યવસ્થાઓના ભંગ સાથે આવ્યો હતો અને પૂરો થયો હતો. કુલપતિના હાથે રાજ્યના ખૂણે-ખૂણેથી ડિગ્રી લેવા આવેલા વિદ્યાર્થીઓને ડિગ્રી લેવામાં તો નિરાશા સાંપડી હતી, પરંતુ રીતસરના હડધૂત કરવામાં આવતા હોય તે રીતે ડિગ્રી આપવામાં આવી હતી. કોઈ સરકારી કાર્યક્રમમાં ઠાંસીઠાંસીને બોલાવેલા લોકોને ફૂડ પેકેટ આપવામાં આવે તે રીતે વિદ્યાર્થીઓને ડિગ્રી અપાતા વિદ્યાર્થીઓનો આક્રોશ ચરમસીમાએ પહોચી ગયો હતો.
ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા વિદ્યાર્થીઓએ ગુજરાતની અસ્મિતાના નામે રીતસરના હડધૂત થયા હોય તેવી સ્થિતિ અનુભવી હતી. ગુજરાત વિદ્યાપીઠના આ સમારંભમાં પણ ગાંધીજીના મૂલ્યોને બાજુએ મૂકીને રીતસરની સરકારી તુમારશાહીનો અનુભવ થયો હતો. વિદ્યાર્થીઓમાં ગણગણાટ હતો કે આવો તાયફો કરીને વિદ્યાર્થીઓને અપમાનિત કરવાના બદલે તેમને છેક ઘરે ડિગ્રી પહોંચાડી દીધી હોત તો વધારે સારુ હોત. હવે તો સ્કૂલનું બોર્ડ પણ ઘરે ડિગ્રી સર્ટિફિકેટ પહોંચાડી દે છે તો પછી વિદ્યાપીઠવાળાને તેમ કરવામાં વાંધો શું છે. સ્ટેજ પરથી પદવી એનાયત કરવાના બદલે ફક્ત પારિતોષિક જ આપવામાં આવ્યા હતા. ગાંધીજીની વિદ્યાપીઠમાં ગાંધીજીના જ મૂલ્યોનો છેદ ઉડતા જોઈને વિદ્યાર્થીઓએ પણ આંચકાજનક સ્થિતિ અનુભવી હતી.
કુલપતિના દીક્ષાંત પ્રવચન પછી આભારવિધિ સાથે જ કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો. તેના પછી વિદ્યાર્થીઓનું ફેકલ્ટી પ્રમાણ કુલપતિ અને ટ્રસ્ટીઓ સાથે ગ્રુપ ફોટો સેશનની નવી પ્રણાલિ શરૂ કરાઈ હતી. પહેલા ફક્ત પદવીદાન સમારંભમાં બધાને પદવી જ અપાતી હતી. પદવીદાન સમારંભમાં રાજ્યના રાજ્યપાલ અને વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ પદ હેઠળ 451 વિદ્યાર્થી તેમજ 502 વિદ્યાર્થીઓને પદવી અપાઈ હતી. તેમા 43 વિદ્યાર્થીઓને પારિતોષિક આપવામાં આવ્યા હતા. તેમા 43 વિદ્યાર્થીઓને પારિતોષિક એનાયત થયા હતા, જેમા 10 ગોલ્ડમેડલ, 4 સિલ્વર મેડલ અને 43 તામ્રપત્ર આપવામાં આવ્યા હતા.