કેન્દ્ર સરકારના કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ જ ધોરણે રાજ્યના કર્મચારી-અધિકારીઓના મોંઘવારી ભથ્થામાં સત્વરે ચાર ટકાનો વધારો જાહેર કરવા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિતમાં માંગણી કરી છે. જો કે ટૂંકમાં જ જાહેરાત થશે તેવી અપેક્ષા મંડળો રાખી રહ્યા છે.
દિવાળી પહેલા જ કેન્દ્ર સરકારના કર્મચારી, અધિકારીઓ અને પેન્શનરના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે. આમ થવાથી હાલમાં મળતું મોંઘવારી ભથ્થું 42 ટકા વધીને 46 ટકા થઈ ગયું છે. આ જ ધોરણે રાજ્યના કર્મચારીઓના અને અધિકારોના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો તાકીદે જાહેર કરવા માંગણી કરી છે. કેન્દ્રએ આ વધારો પહેલી જુલાઇની પાછલી અસરથી લાગુ કર્યો છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સંજય પટેલ, મહામંત્રી ગોપાલ પંડ્યા અને ગુજરાત રાજ્ય સંકલન સમિતિના અધ્યક્ષ વિષ્ણુ પટેલ અને પ્રમુખ દિનેશ દેવમુરારીએ મુખ્યમંત્રી પટેલ સમક્ષ લેખિતમાં માંગણી કરી છે.
કર્મચારી મહામંડળના પ્રમુખ સંજય પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જ્યારે પણ તેના કર્મચારીઓ-અધિકારીઓ માટે પગારપંચ સહિતના જે કોઈ લાભો જાહેર કરે તે રાજ્યના કર્મચારીઓને માટે પણ જેમના તેમ લાગુ કરવાનો સૈદ્ધાંતિક સ્વીકાર રાજ્ય સરકારે કરેલો છે. હાલ વધેલી મોંઘવારીના સંદર્ભમાં કેન્દ્રની જેમ જ સત્વરે મોંઘવારી ભથ્થું વધારવાની રાજ્ય સરકારે જાહેરાત કરવી જોઈએ. કેન્દ્રની જેમ જ સત્વરે મોંઘવારી ભથ્થું વધારવાની રાજ્ય સરકારે જાહેરાત કરવી જોઈએ અને કેન્દ્રની જેમ પહેલી જુલાઈથી તેનો લાભ આપવો જોઈએ. જ્યારે સંકલન સમિતિએ રાજ્ય સરકાર, બોર્ડ-નિગમ, મ્યુનિ કર્મચારીઓ, યુનિવર્સિટીના કર્મચારીઓ, અધિકારીઓને ચાર ટકા મોંઘવારી ભથ્થું કેન્દ્રના ધોરણે આપવું જોઈએ.